જીવતા હોવાનો પુરાવો આપવો પડે ત્યારે થોડું વસમું તો લાગે...

આજે વાત કરવી છે સરકારી તંત્રના કે અન્ય કોઈ સંસ્થાનના આદરણીય વડીલો જેવા પેન્શનરો એટલે કે નિવૃત્તિ વેતનભોગીઓની.

સમાજમાં એક ઉક્તિ પ્રચલિત છે કે જબ સરકાર દેતી હૈ પેન્શન ફિર કાહે કા ટેન્શન!!

બીજા કોઈ ટેન્શન હોય કે ના હોય, એમને એક ટેન્શન તો રહે જ છે. અને એ ટેન્શન છે પોતે જીવતા હોવાનો પુરાવો એટલે કે હયાતીનું પ્રમાણપત્ર આપવાનો. દર વર્ષે એપ્રિલથી જુલાઈ દરમિયાન જાે તમે હયાતી ના કરાવો તો શું થાય?

સરકાર માઇ બાપ અને એમના વતી ચુકવણી કરતી તિજાેરી કચેરી તમને કામચલાઉ મરેલા માની લે...!!

હા, જાે કે એમનામાં દયા અને સદભાવના ખરી એટલે કાયમી ઉકલી ગયાં અને એમનું ખાતુ બંધ કરી દો એવું નથી કરતાં.પણ જ્યાં સુધી તમે હયાતી ના કરાવો ત્યાં સુધી તમે સરકારી ચોપડે ઉકલી ગયાં જેવા ગણાવ છો.એટલે નિવૃત્તિ વેતનભોગીએ બધું ચૂકવું પણ હયાતી કરાવવાનું ન ચૂકવું.

જે નોકરીમાં ચાલુ છે એ વેતનભોગી છે.અને જેમનો નોકરીનો કર્મયોગ પૂરો થઈ જાય એ નિવૃત્તિ વેતનભોગી છે.

આ ભોગની બાદશાહી તમે જીવો ત્યાં સુધી ચાલે. જાે કે આ બાદશાહી ભોગવનારી પેઢી હવે વધુમાં વધુ બે દાયકાની મહેમાન છે. ૨૦૦૬ પછી ભરતી થનારાઓને પેન્શનની સુવિધા મળવાની નથી. અને તેના વિકલ્પે જે મળવાનું છે એ એટલું આકર્ષક નથી. જાે કે ઘણાં રાજ્યોએ ચુંટણીના મુદ્દા તરીકે જૂની પેન્શન યોજના ફરીથી જીવતી કરી છે.

પેન્શનર માટે તિજાેરી કચેરી એ મહાલક્ષ્મી અને બેંક એ લક્ષ્મીમાતાનું મંદિર ગણાય.

હયાતીની ખાત્રી કરાવવી આમ કંઈ અઘરું કે ખૂબ સમય લેનારું કામ નથી. બેંકના મેનેજર પણ હવે મોટેભાગે પેન્શનર વડીલોનું માન જાળવે છે.

દર વર્ષના એપ્રિલ મહિનામાં પેન્શનરે પોતાની બેંકમાં જઈને એક ફોર્મ ભરી દેવાનું. એમાં પાછું કશું ખાસ ભરવાનું હોતું જ નથી. તિજાેરી કચેરી આ ફોર્મ્સ બેન્કોને મોકલી જ આપે છે. એમાં એક જ ફોર્મમાં ત્રણ પ્રમાણપત્રો હોય છે. એ પૈકી એક જ લાગુ પડતું હોય છે. પણ બેંકવાળા ખૂબ વ્યવહારુ એટલે ત્રણે પર સહી કરાવી લે. બસ, તમે ‘જીવતા છો’નો પુરાવો મળી ગયો. હવે વધુ એક વર્ષ લહેરથી જીવો.

 ચુંટણી છે એટલે યાદ આવ્યું. કહેવાય છે કે મતાધિકાર અમૂલ્ય છે અને એક એક મતની કિંમત છે.

પણ નિવૃત્તિ વેતનભોગીને પૂછો તો કહેશે કે પેન્શન અમૂલ્ય છે. એમનો તર્ક કંઈ એવો છે કે ચુંટણી પંચ દર વર્ષે મતદાર પાસે હયાતીનો પુરાવો માંગતું નથી. તિજાેરી કચેરી માંગે છે. જાે મત અમૂલ્ય હોત તો પંચ દર વર્ષે મતદાર જીવે છે કે ઉકલી ગયો એની પૃચ્છા અવશ્ય કરતું હોત!

 અહીં એક રમુજી ટૂચકો યાદ આવે છે.એક કાકા મતદાન મથકે ગયાં. ઓળખીતો યુવાન ત્યાં મતદાન એજન્ટ તરીકે બેઠો હતો. એને પૂછ્યું કે “અલ્યા, તારા કાકી મત આપી ગયા?”

એટલે જવાબ મળ્યો, “હોવે.. એ હમણો જ મત આપીને ગયા.”

 અને કાકા માથું ખંજવાળે કે “ડોહીને મર્યે દહ વરહ થ્યા. મારી હાળી દર પાંચ વરહે મત તો નાંખી જાય..પણ મને મળતી કેમ નથી!!”

  એમાં એવું કે નાણાંનો વહિવટ કરનારા ડાહ્યા હોય એટલે તિજાેરી કચેરી દર વર્ષે હયાતીનો પુરાવો માંગે.

   જાે કે પેન્શનરોની લાગણી છે કે આ હયાતી કરાવવાની તિજાેરી કચેરીની જે રીત છે એ સાવ અરસિક છે. એટલે આ પ્રક્રિયાને એવી રસપ્રદ અને આકર્ષક બનાવવી જાેઈએ જેથી આ લોકો રાહ જુવે કે ક્યારે એપ્રિલ આવે અને ક્યારે હયાતી કરાવું.

  હવે તમે પૂછશો કે આ કેવી રીતે થઈ શકે?

   એનો જવાબ છે કે તિજાેરી કચેરીએ દર વર્ષે જ્યાંથી પેન્શન ચૂકવાય છે એ બેન્ક વાર મસ્ત મઝાનો હયાતીની ખરાઈ ભોજન સમારંભ યોજવો જાેઈએ.

   દલીલ થશે કે એનો ખર્ચ ક્યાં પાડવો? તો ભાઈ, ઉદાર રાજ્ય અને કેન્દ્ર સરકારો વડીલ વંદના યોજના ચલાવે જ છે.એના હેઠળ સરકારી અનુદાન માંગી લેવાય.

   અથવા જે તે બેન્કોેના સંચાલકો ષ્ઠજિ ભંડોળમાંથી આ વડીલ સન્માનના કામ માટે અનુદાન ફાળવે.પેન્શનરો ઉદાર એટલે ભોજન સાથે દક્ષિણામાં ભેટ આપવાનું કહેતા જ નથી.

   અને આ આયોજનથી એ લાભ પણ થાય કે ગયા વર્ષે આપણે ૫૦ હતાં. આ વર્ષે ૪૫ થયાં. એટલે એક્ઝિટ માટે મનોમન તૈયાર થવા માંડો.

   મને જાણવા મળ્યું કે અમેરિકા,કેનેડા જેવા દેશોમાં સોશિયલ સિક્યુરિટીની વિભાવના હેઠળ સરકારી કે ખાનગી નોકરી દરમિયાન આવકવેરા તરીકે કપાયેલી રકમના વળતર રૂપે ૬૫ વર્ષ પછી સામાજિક સુરક્ષા પેન્શન આપવામાં આવે છે.

    ત્યાં હયાતીની ખરાઈ દર વર્ષે કરાવવી પડે? કેવી રીતે થાય એ અંગે એક મિત્રને પૂછ્યું. તેમણે જણાવ્યું કે અમેરિકામાં હયાતીની ખરાઈ કરાવવાની કોઈ ફરજિયાત પ્રથા નથી. તેનું એક કારણ તો એ કે પ્રામાણિકતા ઘણી છે.પેન્શનરનું મૃત્યુ થાય તો સ્વજનો સામે ચાલીને તુરત જ તંત્રને જણાવી દે છે. બીજું કે ત્યાં મોટાભાગના વ્યવહારોમાં સોશિયલ સિક્યુરિટી નંબર ટાંકવો પડે. મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવા જાય ત્યાં મૃતકનો સોશિયલ સિક્યુરિટી નંબર આપવો જ પડે. અને આ વિગતો નેટવર્ક સાથે જાેડાયેલી હોવાથી તંત્રને તરત જ ખબર પડી જાય.

    જાે કે આમ તો ભારતમાં પેન્શનરોના પરિવારજનો આ બાબતમાં જાગૃત અને પ્રમાણિક છે અને મૃત્યુના સંજાેગોમાં તિજાેરી કચેરીને જાણ કરી જ દે છે. છતાં વધારાની તકેદારી માટે આ નિયમ રાખવામાં આવ્યો હશે.

   હવે જાે કે બેન્કમાં ગયા વગર ટેકનોલોજીની મદદથી ઓનલાઇન હયાતીની ખરાઈ કરાવી શકાય છે. ખાસ કરીને નિવૃત્તિ પછી લાંબા ગાળા માટે વિદેશમાં રહેવા ગયા હોય એમના માટે આ સુવિધા ખૂબ ઉપયોગી છે. ટેકનોસેવી વડીલો દેશમાં પણ તેનો ઉપયોગ કરી શકે છે.

   વડોદરાની પેન્શન તિજાેરી કચેરીની વાત કરીએ તો દર મહિને અંદાજે ૩૭ હજારથી વધુ પેન્શનરોને એ પેન્શન ચૂકવે છે. જેમાં સરકારી ખાતા,એમ.એસ.યુનિવર્સિટી, જિલ્લા પંચાયતની કચેરીઓ અને અનુદાનિત સંસ્થાઓના પૂર્વ કર્મચારીઓનો સમાવેશ થાય છે એવું જાણ્યું છે. વડોદરા મનપાની જુદી વ્યવસ્થા છે. એ જ રીતે ભારત સરકાર અને બેન્કોની તેમના પૂર્વ કર્મચારીઓને પેન્શન ચૂકવવાની જુદી વ્યવસ્થા છે. પેન્શન ચુકવણી ખૂબ મહેનતનું કામ છે અને તિજાેરી કચેરી એ નિષ્ઠાથી કરે છે એની નોંધ લેવી જ પડે.

   ત્યાગીને ભોગવી જાણો એવું ભગવાને ગીતામાં કહ્યું છે. એટલે નિવૃત્તિ વેતનભોગીઓએ દર વર્ષે આગલા એપ્રિલની ખાત્રી નથી એવું સમજી ધીમે ધીમે બધી જિજીવિશા ત્યાગતા રહેવું.ગીતાનો કર્મયોગ આ પ્રથાથી તમારા માટે સુલભ બને છે એવું માનવું.

  બાકી ઉકલી ગયાં તો તિજાેરી કચેરી થોડો ઘણો ખર્ચ લાકડા પાણી માટે આપે જ છે. અલબત્ત તમને નહીં વારસદારને. અને ૮૦થી લાંબુ જીવો તો પેન્શન વધારી આપે છે. હવે જીવવા માટે વધુ કઈ અપેક્ષા રાખવી???

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution