નવી દિલ્હી
દર વર્ષે 12 મેના રોજ ફ્લોરેન્સ નાઈટિંગેલની જન્મજયંતિ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક દર્દીને નવું જીવન આપવામાં જેટલું યોગદાન એક ડોક્ટરનું હોય છે એટલું જ એક નર્સનું હોય છે. એક નર્સ દર્દીની સેવા તન-મનથી કરતી હોય છે. નર્સ પોતાની પરવા કર્યા વગર એક દર્દીનો જીવ બચાવે છે. આ દિવસ નર્સના એ અમૂલ્ય યોગદાનને સમર્પિત કરવામાં આવ્યો છે.1820માં આ દિવસે વિશ્વની સૌથી પ્રખ્યાત નર્સ - ફ્લોરેન્સ નાઈટિંગેલનો જન્મ થયો હતો. ફ્લોરેન્સ નાઈટિંગેલ એક અંગ્રેજી સમાજ સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગના સ્થાપક હતા.
ફ્લોરેન્સ નાઈટિંગલ બ્રિટિશ પરિવારમાં 12મી મે 1820ના રોજ જન્મ્યા હતાં. તેમની સેવા ભાવનાને લોકો આજે પણ યાદ કરે છે. 1860માં તેમણે સેન્ટ ટોમસ હોસ્પિટલ અને નર્સો માટે નાઈટિંગલ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના કરી હતી. આ દિવસને પહેલીવાર ઉજવવાનો પ્રસ્તાવ અમેરિકાના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કલ્યાણ વિભાગના અધિકારી ડોરોથી સુદરલેન્ડે મૂક્યો હતો. આ પ્રસ્તાવ 1953માં મૂકાયો હતો.

આ દિવસને ઉજવવાની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડેવિટ ડી. આઈઝનહાવરે કરી હતી. 1974ના જાન્યુઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી કે 12મી મેના દિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેઓ આધુનિક નર્સિંગના સંસ્થાપક છે.
WHO અનુસાર દુનિયાના તમામ આરોગ્ય કર્મચારીઓમાં નર્સોની સંખ્યા અડધાથી વધુ છે. આમ છતાં સમગ્ર દુનિયામાં નર્સોની અછત છે અને 5.9 મિલિયનથી વધુ નર્સોની હજુ જરૂરીયાત છે. ખાસ કરીને ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં.ભારતમાં પ્રશિક્ષિત નર્સોની પણ અછત છે, WHOના ધારાધોરણો અનુસાર, ભારતની વસ્તીની તુલનામાં નર્સની નોંધપાત્ર અછત છે.