બીજું નોરતું એટલે શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારિણી માતાનું વરદાન પામવાનો અવસર

અમદાવાદ-

દ્વિતીયં બ્રહ્મચારિણી નવરાત્રિ ઉપાસના અને આરાધનાનો લાભ આપતાં એવા દિવસો છે જેમાં મહાશક્તિના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસોમાં ભક્તો માતાની આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ દરમિયાન ભક્તો શાંતિ અને સુખોપભોગ મેળવવાના હેતુ સાથે વ્રત અને ઉપવાસ રાખે છે. વળી માતાના વિવિધ નામ સ્મરણમાં પણ પરમ આનંદ મળે છે. આજે બીજા નોરતે માતા નવદુર્ગાના દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે. માતા બ્રહ્મચારિણીના દૈવીય સ્મરણ માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે.

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु |देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा || માતા બ્રહ્મચારિણીની ઉપાસના માટે આ ધ્યાનમંત્ર પણ જણાવવામાં આવેલો છે. શંકરપ્રિયા ત્વં હિ, ભુક્તિ-મુક્તિ દાયિની, શાંતિદા-માનદા, બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ્.

શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારિણીમાં બ્રહ્મોપાસના તપસ્યાભર્યું આચરણ સમાયેલું છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્યતા ધરાવે છે. તેમના જમણા હાથમાં જપની માળાઅને ડાબા હાથમાં કમંડળ હોય છે. હિમાલય પુત્રી પાર્વતીએ ભગવાન શંકરને પતિ સ્વરૂપે મેળવવા અતિ કઠિન તપ કર્યું હતું. એક હજાર વર્ષ સુધી ફક્ત ફળફૂલ ખાધા હતાં. ટાઢ-તડકો વેઠ્યા હતાં. આવા અતિશય તપના કારણે બ્રહ્માજીએ પ્રસન્ન થઇ વરદાન આપ્યું હતું કે, દેવી તમને ભગવાન શંકર પતિના રૂપમાં ચોક્કસ મળશે. માતા બ્રહ્મચારિણીને ભક્તો અને સિદ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળાં કહેવાયાં છે. માતા બ્રહ્મચારિણીની ઉપાસના થકી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમના ગુણોમાં વધારો થાય છે. જીવનમાં આવતાં પડકારો, સંઘર્ષો દરમિયાન પણ ભક્તનું ચિત્ત કર્તવ્ય પથથી વિચલિત થયું નથી. માતા બ્રહ્મચારિણીની કૃપાથી ભક્તને બધે જ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution