સરફિરાઃ તમિલ ફિલ્મ સૂરરાઈ પોટ્રૂની નબળી નકલ

અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ 'સરફિરા’ હાલમાં રિલીઝ તો થઈ પણ બોક્ષ ઓફિસ પર તેની હાલત તેની છેલ્લી દસ-બાર ફિલ્મો જેવી જ થઈ છે. પહેલાં બે સપ્તાહનું બોક્ષ ઓફિસ કલેકશન પચ્ચીસ કરોડનો આંકડો પણ પાર કરી શક્યું નથી..! સૂર્યવંશી પછી તેની એક પણ ફિલ્મ નફાકારક બિઝનેસ કરી શકી નથી..! એ પહેલાની પણ થોડી ફિલ્મો લક્ષ્મી, બેલબોટમ, અતરંગી રે, બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષાબંધન, કઠપૂતલી, રામસેતુ, સેલ્ફી, ઓએમજી-૨, મિશન રાનીગંજ, બડે મિંયા છોટે મિંયા અને હવે સરફિરા.

આમ તો ફિલ્મ વીર અને રાની નામના બે બદદિમાગ(સરફિરા) લોકોની વાત છે. એકને પોતાની એરલાઈન બનાવવી છે અને બીજાને બેકરી. બંને પોતાનું સપનું સાકાર કરવા જે મહેનત કરે છે તેને ફિલ્મમાં બતાવવાનો પ્રયાસ કરાયો છે. વીરનું આ ગાંડપણ ગાંધીવાદી પિતાને ગમતું નથી, એટલે તેમના સંબંધોમાં ખટાશ છે. બે પ્રસંગો જ્યારે એરફોર્સની ઓફિસમાંથી મા-બાપને ફોન કરે અને બાપના મૃત્યુ સમયે સમયસર ઘેર પહોંચવાની જદ્દોજેહત થોડું ભાવમય વાતાવરણ જન્માવે છે, પણ વીર એરફોર્સ કેવી રીતે જાેઈન કરે છે..? વિમાન બનાવવાનું અને તેનું રખરખાવ કરતા કેવી રીતે શીખે છે..? પટકથામાં તેની છણાવટ કરાઈ નથી..! વિષય ઘણો ઉપરછલ્લો રજૂ કરાયો છે..!

ફિલ્મ ‘સરફિરા’ યુપીએ શાસનમાં ઉડ્ડયન મંત્રાલય અને સંલગ્ન સરકારી કચેરીઓમાં વ્યાપેલાં ભ્રષ્ટાચારની વાર્તા કહે છે..! ફિલ્મમાં વારંવાર કહેવાયું છે કે રતન ટાટાને પણ તેમની શરૂઆત કરતા પહેલા આ લાલ ટેપમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારે સવાલ એ ઉઠે છે કે અક્ષય કુમાર એવી જ ફિલ્મોમાં કામ કરે છે જેમાં પૂર્વ સરકારોની છબી ખરડાતી હોય અને વર્તમાન સરકારની વાહવાહી..? ૨૦૧૪માં વર્તમાન સરકાર આવ્યા પછી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ખુલામાં શૌચ ન કરવા અને ઘર-ઘર ટોયલેટ બનાવવાની યોજના અમલી બની તેવાં સમયે અક્ષયની ફિલ્મ ‘ટોયલેટ-એક પ્રેમ કથા’ આવી. મહિલાઓની સુરક્ષા અને મહાવારી સમયે ગંદુ કપડું વાપરવાથી મહિલાઓને થતી બિમારી અને તેના નિવારણ સબબ ‘પેડમેન’ આવી. ૨૦૧૯ની ચૂંટણી પહેલાં ‘કેસરી’ આવી. ફિલ્મને શાસક કે વિપક્ષ સાથે કંઈ લેવાદેવા નહોતી પણ કેસરી રંગ અને હિંદુત્વની વાત તો હતી જ..!

સરફિરા સસ્તી હવાઈ સેવાનું સપનું જાેનાર કેપ્ટન ગોપીનાથના પુસ્તક 'સિમ્પલી ફ્લાય’ પર આધારિત હતી. આ પુસ્તક કેપ્ટન ગોપીનાથ દ્વારા ઓછી કિંમતની એરલાઇન 'એર ડેક્કન’ બનાવવા પાછળની વાર્તા કહે છે. જેમણે સસ્તી હવાઈ સેવા શરૂ કરવા કોનો અને કેવો સામનો કરવો પડ્યો..? ફિલ્મ અગાઉની સરકાર દરમિયાન ઉદ્યોગપતિઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તે વાતને વાચા આપે છે. સરફિરા તમિલ ફિલ્મ 'સૂરરાઈ પોટ્રૂ’નું હિંદી વર્ઝન છે. દક્ષિણના સુપરસ્ટાર સુર્યાની આ ફિલ્મ ૨૦૨૦માં આવી હતી જે સીધી ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ કરવામાં આવી હતી. સરફિરા સિનેમાઘરોમાં રજૂ થઈ છે. બંનેમાં કેપ્ટન ગોપીનાથની વાત લોકો સમક્ષ લાવવાનો છે.

એર ડેક્કનની પ્રથમ ફ્લાઇટ ૨૫ ઓગષ્ટ ૨૦૦૩ના રોજ ઉડી હતી, અને આ એરલાઈન્સ પાંચ વર્ષ પછી બંધ થઈ હતી. જાે કે મૂળ તમિલ ફિલ્મ 'સૂરરાઈ પોટ્રૂ’ કે 'સરાફિરા’ માં તેના કારણોની કે તે ઘટનાક્રમની કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. ‘સરફિરા’માં મૂળ તમિલ ફિલ્મના માહોલને મરાઠીમાં ઢાળવા મથામણ કરવામાં આવી છે. દક્ષિણ ભારતની અનેક સુપરહિટ ફિલ્મોને હિન્દીમાં બનાવવામાં આવી છે. ઘણી ફિલ્મોના દિગ્દર્શક કે કળાકારો પણ એના એ જ રહ્યાં છે. આ ફિલ્મની વાત કરીએ તો મૂળ ફિલ્મના દિગ્દર્શક સુધા કોંગારાએ જ ‘સરફિરા’નું દિગ્દર્શન કર્યું છે. જે રીતે વિક્રમ વેધાનું દિગ્દર્શન ગાયત્રી પુષ્કરે કર્યું હતું. જાે કે તમિલમાં બ્લોકબસ્ટર થયેલ આ ફિલ્મોએ હિન્દીમાં તેની ચમક ગુમાવી છે. કેમ..?

મારા મતે જવાબ છે, હિન્દી ફિલ્મોમાં કથિત સુપરસ્ટાર અભિનેતાઓની અભિનય સિવાય બધી જ બાબતોમાં સળીસંચો કરવાની આદત..! ‘સમ્રાટ પૃથ્વીરાજ’ હોય કે ‘કઠપૂતળી’ કે પછી ‘મિશન રાનીગંજ ‘હોય કે ‘સેલ્ફી’, ફિલ્મ હિન્દીમાં ફ્લોપ ગયા પછી આવો ગણગણાટ બહાર આવ્યો છે. દક્ષિણ ભારતમાં ફિલ્મ એટલાં પેશન અને ડેડિકેશન સાથે બનાવવામાં આવી છે કે તે તમને વાર્તાથી લઈને અભિનય સુધી બધું અંદર સુધી સ્પર્શી જાય. અને એટલે જ ફિલ્મ સફળ થાય છે. આપણી ફિલ્મો હીરોના નખરા સાથે અને વચ્ચે બને છે..! દિગ્દર્શક નહીં હીરોની મરજી અનુસાર ફિલ્મ બને છે..! ‘સરફિરા’ પણ એવું જ લાગે છે. ૧૯૬૭માં જન્મેલ ૫૬ વર્ષના અક્ષયને આ પાત્રમાં કલ્પવો જ મુશ્કેલ છે.

‘સરફિરા’માં અક્ષય કુમારનો અભિનય સાવ સામાન્ય લાગે છે. ઉતાવળે ફિલ્મ બનાવાઈ હોવાનો પણ આભાસ થાય છે. શક્ય છે અક્ષય કુમારે શૂટિંગ માટે અમુક ચોક્ક્‌સ દિવસો જ ફાળવ્યા હોય..! ફિલ્મમાં તેના મિત્રો બનતા બંને કલાકારો શામ(સૌરભ ગોયેલ) અને ચૈતન્ય રાવ(ક્રિશ્નાકુમાર)નો અભિનય પ્રશંસનીય છે. સીમા વિશ્વાસ અને રાધિકા મદાન અનુક્રમે વીર મ્હાત્રે(અક્ષય કુમાર)ની મા અને પત્નીના રૂપમાં પ્રભાવશાળી લાગે છે. નાની ભૂમિકા છતાંય મોટી છાપ છોડી જાય છે. પરેશ રાવલ ફિલ્મમાં ખાસ કશું કરી શક્યા નથી..! કેમ..? એ તો એ પોતે જ જાણે.

ફિલ્મનું ગીત-સંગીત, દિગ્દર્શન, સિનેમેટોગ્રાફી, પટકથા, સંકલન કે અન્ય ટેકનિકલ પાસાઓમાં એવું કંઈ ખાસ નથી જેનો અલગથી ઉલ્લેખ કરવો પડે. ફિલ્મમાં કેપ્ટન ગોપીનાથની વાત ૫ર અક્ષય કુમારનું સુપરસ્ટારપણું સવાર થતું લાગે છે. અને કદાચ એટલે જ અનેક બાયોપિક કરનાર અક્ષય કુમારની આવી ફિલ્મોને સફળતા મળી નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution