આણંદ, તા.૨૭
આણંદ શહેરના ઉલમા ગ્રૂપ તથા આણંદ શહેરના યુવાનો દ્વારા આજે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. આ યુવાનોએ કોરોનાની મહામારી વચ્ચે આજે સમાજ ગભરાયેલો છે ત્યારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજને આજે આવાં યુવાનોની જરૂર છે.
કરમસદ મેડિકલ હોસ્પિટલમાં કપડવંજ શહેરના રહેવાસીનું આજે બપોરે કોરોનાની બીમારીથી મૃત્યું નીપજ્યું હતું. હિંમત હારી ચૂકેલાં મૃતક દર્દીના સગાં સંબંધીઓને મુસ્લિમ સમાજના ઉલેમાઓ અને યુવાનો દ્વારા ખભેખભા મિલાવી સાથ આપવાની બાયધરી આપી હતી. આ પરિવારને દુઃખની આ આફતમાં સધિયારો આપી બહાર લાવવાની કોશિશ કરી હતી. આટલું જ નહીં આણંદ મુસ્લિમ સમાજ દ્વારા પોતાની એમ્બ્યૂલન્સની અંદર કરમસદ મેડિકલથી દર્દીનું શબ આણંદના કૈલાશ ભૂમિમાં લઈ જવામાં આવ્યું હતું.
અહીં આણંદ મુસ્લિમ સમાજના યુવકો અને મુસ્લિમ ધર્મ ગુરુઓ દ્વારા પીપીઇ કિટ પહેરી કોઈપણ જાતના ખૌફ વગર હિન્દુ રિવાજ મુજબની તમામે તમામ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
દર્દીના સગાં-સંબંધીઓની આંખને ઠંડક મળે તેવી જ રીતે શબને મુસ્લિમ ધર્મ ગુરુઓ દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તેમાં આવી પહેલની ખુબ જ જરૂર છે.
Loading ...