રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લાખો ભારતીય રેલ મુસાફરોને લોકસભામાં મોટી ખુશખબરી આપી. તેમણે જણાવ્યું હતું કે આગામી કેટલાક મહિનાઓમાં રેલવે ટ્રેનોમાં ૨૫૦૦ જનરલ કોચ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં કથિત ઘટાડો થવાનો મુદ્દો ઉઠતો રહ્યો છે. હવે આવનારા દિવસોમાં રેલવે ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવા જઈ રહી છે. દરેક મેલ એક્સપ્રેસ ટ્રેનમાં જનરલના ચાર ડબ્બા લગાવવામાં આવશે. માનવામાં આવે છે કે ટ્રેનોમાં થતી ભીડને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. આના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના રેલ મુસાફરોને મોટી રાહત મળવાની આશા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એક ટ્રેનમાં જનરલ કોચનું પ્રમાણ સ્લીપર અને નોન રિઝર્વ સહિત બે તૃતીયાંશ છે. મંત્રીએ લોકસભામાં કહ્યું, એક તૃતીયાંશ એસી કોચ છે. આ જ ધોરણ રહ્યું છે અને તેને જાળવી રાખવામાં આવ્યું છે. જાેકે, જનરલ કોચની માંગ વધી રહી હોવાથી, અમે આગામી કેટલાક મહિનાઓમાં ૨,૫૦૦ જનરલ કોચ બનાવવાનું કામ શરૂ કર્યું છે. રેલવે મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે સ્ટાન્ડર્ડ મુજબ દરેક મેલ ટ્રેનમાં ઓછામાં ઓછા ચાર જનરલ કોચ હોવા જાેઈએ. આ ધોરણ તમામ મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે સંસદને જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભારતીય રેલવે વેઇટિંગ લિસ્ટ અને શોર્ટેજની સમસ્યાઓને દૂર કરવા માટે દસ હજાર જનરલ કોચ બનાવવાનું કામ શરૂ કરવા જઈ રહી છે. અશ્વિની વૈષ્ણવે પોતાના સંબોધનની શરૂઆત લગભગ ૧૨ લાખ રેલવે કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરીને કરી. આ કર્મચારીઓ દરરોજ લગભગ ૨૦,૦૦૦ ટ્રેનોના સુચારુ સંચાલનને સુનિશ્ચિત કરે છે. રેલવે મંત્રીએ રેલવેને દેશની જીવનરેખા ગણાવી, એક મહત્વપૂર્ણ સંસ્થા જેના પર દેશના અર્થતંત્રનો ખૂબ મોટો બોજાે છે. રેલવે સુરક્ષા અંગે સંસદને સંબોધતા રેલવે મંત્રીએ છેલ્લા એક દાયકામાં આ સંબંધમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. ૨૬,૫૨,૦૦૦થી વધુ અલ્ટ્રાસોનિક ખામી ઓળખ પરીક્ષણો કરવામાં આવ્યા છે અને સુરક્ષા ઉપાયોને વધારવા માટે ઘણી નવી તકનીકોને સામેલ કરવામાં આવી છે.
Loading ...