વડોદરા ફતેગંજ પોલીસ મથકમાં પોલીસ જવાનોએ શંકાસ્પદ આરોપી શેખ બાબુને ઢોર માર મારીને તેની હત્યા કર્યાના બનાવનું હવે સયાજીગંજ પોલીસ મથકમાં પુનરાવર્તન થયું છે. સયાજીગંજ પોલીસે એક માસ અગાઉ મોડીરાત્રે ઢોર માર મારતા ઈજાગ્રસ્ત આમલેટની લારીધારક યુવકનું આજે મોત નીપજતાં ખાખી વર્દી ફરી દાગદાર બની છે. સયાજીગંજ પરશુરામ ભટ્ટામાં રહેતા મહંમદમુમતાજ અમીરુદ્દીન શેખે ગત ૧લી મેના રોજ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો નાનો ભાઈ ફૈઝાન રેલવે પ્લેટફોર્મ-૭ની સામે પીડબલ્યુડીની દિવાલ પાસે રોડ પર આમલેટની લારી ઉભી રાખી ધંધો કરે છે. ગત રાત્રે સવા બે વાગે સયાજીગંજ પોલીસની પીસીઆર વાનમાં પોલીસ જવાનો લારી બંધ કરાવવા માટે આવ્યા હતા જયાં ચોકમાં હાજર ફૈઝાનને પોલીસ સાથે માથાકુટ થઈ હતી. આ પૈકી દાઢીવાળા પોલીસ જવાન એલઆરડી મોહમંદમુબશશીર મોંહમંદસલીમ તેમજ રઘુવીર ભરતભાઈ અને વાનના કોન્ટ્રાક્ટ કર્મચારી ડ્રાઈવર કિશન નટવર પરમારે ફૈઝલને પકડી રાખી ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો. આ દરમિયાન ફૈજાન આવેશમાં આવી જતા તેણે ઉશ્કેરાઈને પોલીસની ગાડીની આગળ જઈ ગાડી પકડીને હોબાળો મચાવ્યો હતો. ટોળાને જાેઈને પોલીસે જલ્દીથી રવાના થવા માટે ગાડી ચાલુ કરી દેતા ફૈજલ ઢસડાયો હતો અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને પ્રથમ સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ ફરિયાદના પગલે સયાજીગંજ પોલીસે પોતાના પોલીસ મથકના બે એલઆરડી અને પીસીઆરના કોન્ટ્રાકટ ડ્રાઈવર સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી અને તેઓને જેલભેગા કર્યા હતા. એક માસ કરતા વધુ સમય સારવાર બાદ આજે ઈજાગ્રસ્ત ફૈજાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ ઝેડ એન ધાસુરાએ જણાવ્યું હતું કે ફૈજાનનું આજે સાંજે મોત નીપજતા આ બનાવમાં હત્યાના ગુનાનો ઉમેરો કરાયો છે.
ફૈઝાનના મોતના મેસેજ વાયરલ થતાં ઉશ્કેરાટ
પોલીસે ઢોર માર મારતા ઈજાગ્રસ્ત બનેલા ફૈજાનનું મોત નીપજતા જ શહેરના ચોક્કસ વિસ્તારમાં તુરંત એવો મેસેજ વાયરલ થયો હતો કે ‘ અસ્સલામુવાલેકુમ, સ્ટેશન પર આમલેટ વાલે કો પોલીસને મારા થા વો લડકે કા ઈન્તકાલ હો ગયા હે હાર્મોની હોસ્પિટલ મે તો યે મસેજે સભી ગ્રુપ મે ડાલો..’ આ મેસેજના પગલે ફૈજાનના રહેણાંક વિસ્તારમાં મુસ્લીમ યુવકોના ટોળેટોળાં પોલીસ સામે રોષ સાથે ઉમટી પડતા ઉશ્કેરાટ ફેલાયો હતો.
Loading ...