રાજ્યના ૨૦૬ ડેમોમાં ૩૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ

ગાંધીનગર રાજયમાં વરસી રહેલા વરસાદથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ૫૪ ટકા જેટલો ભરાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ ડેમોમાં ૩૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ યોજનામાં પાણીનો સંગ્રહ ૫૪ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં ૧,૮૧,૨૨૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.૨૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના અન્ય કુલ ૨૦૬ જળાશયો (ડેમ)માં ૧,૯૮,૨૨૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૫.૩૮ ટકા જેટલો જળસંગ્રહ થયો હોવાનું રાજ્યના જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. રાજ્યના જળ સંપતિ વિભાગ દ્વારા જણાવાયા મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ ડેમો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે, જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-૧ તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત ડેમો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નિંગ અપાઈ છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-૩ અને રૂપારેલ, રાજકોટના આજી-૨ અને ન્યારી-૨ તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૮.૫૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૩૧.૫૪ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫માં ૨૬.૩૩ ટકા, કચ્છના ૨૦માં ૨૨.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપતિ વિભાગ દ્વારા જણાવાયું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution