બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં મુળ ભારતીય મતદારો અને ઉમેદવારોની પ્રભાવી ભુમિકા

બ્રિટનમાં લેબર પાર્ટીએ ૬૫૦ સભ્યોની સંસદમાં ૪૦૩ બેઠકો જીતી ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની આગેવાની હેઠળના કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૪ વર્ષના શાસનનો અંત કર્યો. બ્રિટનની વસતી ૬૭ મિલિયન છે, જેમાં ભારતીય મૂળના ૧૮ લાખ નાગરિકોનો સમાવેશ થાય છે, જે ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. બ્રિટિશ-હિન્દુ સમુદાય, બ્રિટનનો ત્રીજાે સૌથી મોટો ધાર્મિક સમૂહ, તેનો રાજકીય અવાજ પહેલા કરતા વધુ મજબૂત બનાવી રહ્યો છે અને આ વખતે તેણે એક 'હિંદુ મેનિફેસ્ટો’ પણ બહાર પાડ્યો હતો તેમજ તેના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. યુકેની અગાઉની સંસદમાં ૧૫ ભારતીય મૂળના સાંસદો હતા જેમાં આઠ લેબરમાંથી અને સાત કન્ઝર્વેટિવ પાર્ટીના હતા. આર્થિક રીતે સમૃદ્ધ બ્રિટિશ હિન્દુ સમુદાયને આકર્ષવા માટે, જે લગભગ ત્રણ ટકા વસતી ધરાવે છે, બ્રિટનના બંને મુખ્ય રાજકીય પક્ષોએ ભારતીય મૂળના મહત્તમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ રેસમાં ૧૦૭ બ્રિટિશ-ઇન્ડિયનોએ ભાગ લીધો હતો. હવે મુખ્ય વિજેતાઓમાં મોટાભાગે મહિલાઓ છે, જેમાં આઉટગોઇંગ વડાપ્રધાન ઋષિ સુનક, સુએલા બ્રેવરમેન, શિવાની રાજા, ગગન મોહિન્દ્રાબાબ અને કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રીતિ પટેલનો સમાવેશ થાય છે. લેબર પાર્ટીના કેટલાક સભ્યો કે જેમને લેબર સરકારમાં મંત્રીપદ મળી શકે છે તેમાં લિસા નંદી છે, જેઓ બંગાળના છે, નવેન્દુ મિશ્રા, ગોરખપુરના વતની, કનિષ્ક નારાયણ, પ્રીત કૌર ગિલ અને તનમનજીત સિંહ ધેસી, પ્રથમ પાઘડી પહેરનાર સભ્ય છે. બ્રિટિશ સંસદમાં એક શીખ સાંસદ હશે. રાજકીય પ્રબંધકોને બ્રિટિશ હિંદુ મતદારોના મતદાનના વલણને જાણવામાં સમય લાગશે, પરંતુ ચોક્કસપણે પરિણામ જાેતા એમ કહી શકાય કે તેઓએ આ ચૂંટણીમાં લેબર પાર્ટીને સમર્થન આપ્યું છે. ઇંગ્લેન્ડમાં ચૂંટણી મુખ્યત્વે બે મુખ્ય મુદ્દાઓ પર લડવામાં આવી હતી, ૨૦૧૬માં યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા પછી દેશનું બગડતું અર્થતંત્ર, જેણે રોજગાર, ફુગાવો અને રાષ્ટ્રીય આરોગ્ય યોજના પર પ્રતિકૂળ અસર કરી હતી અને બીજું, કન્ઝર્વેટિવની અંદર રાજકીય ગરબડ.

ભારતની આઝાદી બ્રિટનની લેબર પાર્ટી સાથે પણ જાેડાયેલી છે. ૧૯૪૫માં, બીજા વિશ્વયુદ્ધના અંતે, લેબર પાર્ટીએ ભારતને સ્વતંત્રતા આપવાના વચન સાથે વિન્સ્ટન ચર્ચિલને હરાવીને ચૂંટણી જીતી, અને તે જ વર્ષે જેલમાં બંધ રાજકીય કેદીઓને પણ મુક્ત કર્યા, આઝાદીની ચળવળને વેગ મળ્યો, સ્વતંત્ર ભારતની રૂપરેખા પર પણ વિચારણા થવા લાગી. વિન્સ્ટન ચર્ચિલ ૧૯૪૦થી ૧૯૪૫ સુધી બ્રિટનના વડાપ્રધાન હતા. તેઓ એક રૂઢિચુસ્ત રાજકારણી હતા જે ભારતીય સ્વતંત્રતાના પ્રખર વિરોધી હતા. જુલાઈ ૧૯૪૫માં, બ્રિટનના નવા ચૂંટાયેલા લેબર પાર્ટીના વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ સ્વતંત્રતાની ઘોષણા કરી, ભારતને બ્રિટિશ સંસ્થાનવાદમાંથી મુક્ત કરાવ્યું. તેઓ ૧૯૩૫થી ૧૯૫૫ સુધી લેબર પાર્ટીના નેતા હતા અને ૧૯૪૫થી ૧૯૫૧ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તાજેતરના વર્ષોમાં બ્રિટિશ ભારતીયોના રાજકીય લેન્ડસ્કેપમાં નોંધપાત્ર ફેરફારો થયા છે, ખાસ કરીને લેબર પાર્ટી સાથેના તેમના સંબંધોમાં. તેમના અગાઉના નેતા, જેરેમી કોર્બીનના કાર્યકાળ દરમિયાન, લેબર પાર્ટીએ ભારતીય સમુદાયના સમર્થનમાં નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો હતો, મોટાભાગે કાશ્મીર પર કોર્બીનના વિવાદાસ્પદ વલણ અને ભારત વિરોધી પૂર્વગ્રહને કારણે. પરંતુ વર્તમાન લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમેરે ભારત પ્રત્યેનું પોતાનું વલણ નરમ પાડ્યું છે અને કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ માટેનું તેમનું વલણ પડતું મૂક્યું છે. તેમણે તેમની પાર્ટીમાં ભારત વિરોધી ઉગ્રવાદી વિચારો પર અંકુશ લગાવ્યા છેે. કીર સ્ટારમેરે પાર્ટીના મેનિફેસ્ટોમાં ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution