ભારતનો સૌરક્રાંતિનો અધ્યાય સુવર્ણ અક્ષરે લખાશે : મોદી


ગાંધીનગર:ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊર્જાના ભવિષ્ય, ટેક્નોલૉજી અને પોલિસીનિર્માણના ચિંતન પર્વ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે એકબીજાના અનુભવ આધારિત આ વિચારમંથન વૈશ્વિક માનવતાના કલ્યાણ માટે લાભદાયી બનશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં ૬૦ વર્ષ પછી જનતાએ કોઈ સરકારને સતત ત્રીજી વખત સત્તાનું સુકાન સોંપ્યું છે, એ જ દર્શાવે છે કે ૧૪૦ કરોડ દેશવાસીઓને સરકાર પર ભરોસો છે. કેન્દ્ર સરકારના છેલ્લાં ૧૦ વર્ષના સુશાસનમાં દેશના યુવાનો-મહિલાઓની આકાંક્ષાઓને જે પાંખો મળી છે, તેને નવી દિશાની ઉડાન માટે પ્રેરક બળ મળી રહેશે. દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત અને વંચિતોને ભરોસો છે કે તેમના ગરિમાપૂર્ણ જીવનનો પાયો બનશે. વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ અગ્રેસર થવા માટે સમગ્ર દેશ આજે સંકલ્પબદ્ધ થઈને કામ કરી રહ્યો છે. ત્યારે આજની ઈવેન્ટ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણની સ્વપ્નસિદ્ધી તરફના પ્રયાણનો મક્કમ નિર્ધાર છે, જે સરકારની ત્રીજી ટર્મના પ્રથમ ૧૦૦ દિવસના કાર્યકાળમાં પ્રતિબિંબિત થાય છે. જેમાં દેશના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ એવા તમામ સેક્ટર્સ અને ફેક્ટર્સને પ્રધાન્ય આપવામાં આવ્યું છે, જે માત્ર ટ્રેલર સમાન છે.વડાપ્રધાને આ તકે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશના દરેક પરિવારને છત મળે એ માટે મક્કમ છે. જેના માટે કેન્દ્ર સરકારે ૭ કરોડ આવાસ નિર્માણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જેમાંથી ગત ૧૦ વર્ષ દરમિયાન ચાર કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે આ ત્રીજી ટર્મમાં વધુ ત્રણ કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે.

કેન્દ્ર સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં ૧૨ નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી, ૮ હાઇસ્પીડ રોડ કોરિડોર, ૧૫થી વધુ સેમિ હાઇસ્પીડ મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લૉન્ચ થઈ ચૂકી છે. તદુપરાંત, હાઈપરફોર્મન્સ બાયો મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે એક ટ્રિલિયન રૂપિયાનું રિસર્ચ ફંડ ફાળવવામાં આવ્યું છે તેમજ ગ્રીન એનર્જી ક્ષેત્રે ઑફશોર વિન્ડ માટેની યોજના અંતર્ગત રૂ. ૭,૦૦૦ કરોડનો ખર્ચ થશે. જ્યારે ૩૧ હજાર મેગાવૉટ હાઇડ્રોપાવર જનરેશન માટે રૂ. ૧૨,૦૦૦ કરોડથી વધુનો ખર્ચ થશે.

દેશની ડાયવર્સિટી, કેપેસિટી, સ્કેલ, પોટેન્શિયલ, પરફોર્મન્સ – આ તમામ બાબતોને યુનિક ગણાવી, વડાપ્રધાનશ્રીએ ઇન્ડિયન સોલ્યુશન ફોર ગ્લોબલ એપ્લિકેશનનો મંત્ર આપતાં જણાવ્યું હતું, કે દુનિયા આ બાબતને બરાબર સમજે છે. આજે ભારતમાં ગ્લોબ ફિનટેક ફેસ્ટ, ગ્લોબલ સેમિકંડક્ટર સમિટ, સોલાર ફેસ્ટિવલ, સિવિલ એવિએશન મિટ, જેવા વૈશ્વિક આયોજનો થઈ રહ્યા છે. વડાપ્રધાને ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ જ ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ, મધુ ક્રાંતિ બાદ સૌરક્રાંતિની પણ પ્રણેતા બની છે. ગુજરાતે જ દેશમાં સૌ પ્રથમ સોલાર પાવર પોલિસી બનાવવા અને ક્લાયમેટ ચેન્જના વિભાગો શરૂ કરવાની પહેલ કરી છે.

આ મહાત્મા ગાંધીની એ ભૂમિ છે, જેમણે વર્ષો પહેલાં મિનિમમ કાર્બન ફૂટ પ્રિન્ટયુક્ત જીવનનું ઉદાહરણ આપી, સમગ્ર વિશ્વનું ધ્યાન પર્યાવરણ રક્ષા તરફ દોર્યું હતું, જ્યારે દુનિયામાં કોઈ ક્લાયમેટ ચેન્જની ચર્ચા પણ નહોતું કરતું. ‘ગ્રીન ફ્યુચર, નેટ ઝીરો’ એ શબ્દો ભારત માટે કોઈ ફેન્સી વર્ડ્‌ઝ નથી, પરંતુ તે ભારતની જરૂરિયાત છે, કમિટમેન્ટ છે. જે દર્શાવે છે કે ભારત સમગ્ર માનવજાતની ચિંતા કરે છે અને સમગ્ર વિશ્વને રાહ ચીંધતા જવાબદારીપૂર્વકના અનેક પગલાં પણ લીધાં છે. જેના માધ્યમથી આગામી સેંકડો વર્ષનો પાયો તૈયાર કરવામાં આવી રહ્યો છે.તેમણે દૃઢતાપૂર્વક જણાવ્યું હતું કે ભારત ટોચ પર પહોંચવા માટેજ નહીં, પરંતુ ટોચ પર સતત ટકી રહેવા માટે પુરુષાર્થ કરી રહ્યો છે.

આપણને ખબર છે કે આપણી પાસે ઓઇલ-ગેસના ભંડારો નથી, એટલે સોલાર, વિન્ડ, ન્યૂક્લિયર અને હાઇડ્રો પાવર પર ધ્યાન કેન્દ્રિત કરી, ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનનો સંકલ્પ કર્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જી-૨૦ સમિટમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે, જેણે પેરિસના ક્લાયમેટ કમિટમેન્ટને નિર્ધારિત સમયના નવ વર્ષ પહેલાં જ હાંસલ કરી, વિકસિત દેશો પણ ન કરી શકે, તેવી સિદ્ધી મેળવી છે.વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી ૫૦૦ ગીગાવોટ સુધી પહોંચાડવા માટે ગ્રીન ટ્રાન્ઝીશનને જન આંદોલન બનાવવામાં આવ્યું છે. સોલાર રૂફટોપ માટેની “પી.એમ સૂર્ય ઘર” એક યુનિક યોજના છે, જે ગ્રીન ટ્રાન્ઝીશનને પૂર્ણ કરવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ પૂરવાર થશે. પી.એમ સૂર્ય ઘર યોજના પર્યાવરણના જતનની સાથે પરિવારોના આર્થિક ભારણને ઘટાડશે અને દરેક ઘરને પાવર પ્રોડ્યુસર બનાવશે.ા

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution