છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં ડબ્બે ૭૦ રૂપિયાનો વધારો


રાજકોટ,તા.૪

અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવે છે. જુન મહિના પહેલા તેલના ભાવમાં ઘટાડો કરાય છે અને દિવાળી સુધીમા તેલના ભાવોમાં વધારો ઝીંકાય છે, સરવાળે બધુ સરભર થઈ જાય છે. આખા વર્ષમાં તેલના ભાવમાં કરાતા ઘટાડાની સામે તેલના ભાવમાં ઝીંકાતો વધારો વધુ હોય છે. ત્યારે ફરી એકવાર સીંગતેલ મોંઘુ બન્યું છે.

છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં ડબ્બે ૭૦ રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં ખૂલતા બજારે આજે ૧૫ કિલો ડબ્બો ૨૫૮૦ થી વધીને ૨૬૫૦ રૂપિયા થયો છે. સીંગતેલમાં સતત તેજીનો માહોલ જાેવા મળ્યો છે. અષાઢી બીજ અને સાતમ આઠમના તહેવારમાં ખાદ્યતેલ મોંઘુ થયું છે. ઓફ સીઝન હોવા છતા ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘુ થતું જશે.

જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય ખાદ્યતેલમાં ભાવ વધારા કરાઈ રહ્યો છે. ત્યારે ૨૦૨૪ ની શરૂઆતથી પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધ-ઘટ થવાની શક્યતા છે. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. મગફળીની જે આવક છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પીલાણમાં નથી જતી. આ કારણે સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે.

સિંગતેલના ભાવમાં ૩૫ થી ૪૦ રૂપિયાનો વધારો થયો છે. ચોમાસાના કારણે પીલાણબરની મગફળીની આવક ઓછી થઈ છે. નબળી ક્વોલિટીના તેલની ચાઇનામાં નિકાસ થઈ છે. સીંગતેલ, કપાસિયા તેલમા મેં અને જૂન મહિનામાં ૧૫૦ રુપિયાનો ઘટાડો થયો હતો. સીંગતેલના વેપારીએ કહ્યું કે, આ વર્ષે મગફળીનું પણ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. પરંતુ ગત વર્ષે ગુલાબી ઈયળ અને કપાસના ભાવ ન મળતા ખેડૂતો ફરી મગફળી તરફ વળ્યા છે. રાજકોટ, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓમાં મગફળીનું વાવેતર વધ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીનું વાવેતર વધુ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution