વર્તમાન ખરીફ મોસમમાં એકંદર વાવેતર વિસ્તાર ૮ જુલાઈ સુધીમાં વાર્ષિક ધોરણે ૧૪.૧૦ ટકા વધી ૩૭૮ લાખ હેકટર રહ્યાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની પ્રગતિને પરિણામે વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. ડાંગરના વાવેતરમાં ૧૯ ટકા જ્યારે કઠોળની વાવણી ગયા વર્ષના ૮ જુલાઈની સરખામણીએ ૫૪ ટકા ઊંચી રહી છે. ઊંચા ભાવ મળી રહેવાની અપેક્ષાએ ખેડૂતો કઠોળનો વધુ પાક લઈ રહ્યા છે. જાે કે જુવાર, બાજરા જેવા કડધાન્યની વાવણીમાં ઘટ જાેવા મળી રહી છે, પરંતુ મકાઈમાં વધારો જાેવા મળે છે. તેલીબિયાંનું વાવેતર પણ ૫૪ ટકા જેટલું ઊંચું રહ્યું છે. શેરડી તથા કપાસના વાવેતરમાં પણ વધારો થયો છે.કઠોળમાં તુવેર દાળ તથા અડદમાં વધારો થયો છે પરંતુ મગમાં ઘટ જાેવા મળી રહી છે. બાજરાની વાવણીમાં નોધપાત્ર ઘટાડો થયો છે. ગયા વર્ષે ૪૩.૦૨ લાખ હેકટર વિસ્તારની સરખામણીએ વર્તમાન મોસમમાં માત્ર ૧૧.૪૧ લાખ હેકટર વિસ્તાર પર બાજરાનું વાવેતર થયું છે. જુવારની વાવણી પણ ૭.૧૬ લાખ હેકટર સામે ૩.૬૬ લાખ હેકટર રહી હોવાનું કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે. તેલીબિયાંમા મગફળીનું વાવેતર ૨૧.૨૪ લાખ હેકટર સામે ઘટી ૧૭.૮૫ લાખ હેકટર રહ્યું છે જ્યારે સોયાબીન ૨૮.૮૬ લાખ હેકટર સામે નોંધપાત્ર વધી ૬૦.૬૩ લાખ હેકટર રહ્યું છે. કપાસનું વાવેતર ૬૨.૩૪ લાખ હેકટર સામે વર્તમાન મોસમમાં ૮૦.૬૩ લાખ હેકટર વિસ્તાર રહ્યાનું પણ પ્રાપ્ત માહિતીમાં જણાવાયું છે. ગયા વર્ષના જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ૩૩૧.૯૦ લાખ હેકટર વિસ્તાર પર ખરીફ વાવણી પૂરી થઈ હતી.