અરવલ્લી-સાબરકાંઠામાં પ્રમુખ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ફફડાટ

અરવલ્લી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હોવાની માહિતી બહાર આવતાની સાથે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન હિંમતનગરના ટાઉન હોલ અને મોડાસાના ભામાશા હોલમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડવાની સાથે માસ્ક વગર પણ અનેક લોકો કાર્યક્રમમાં મોટી સંખ્યામા જોવા મળ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના અગ્રણી અને કાર્યકરોમાં કોરોના સંક્રમણનો ભય પેદા થયો છે. સી.આર. પાટીલ સાથે ફોટો વિથ ફ્રેમ અને અભિવાદન કરનાર ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો માસ્ક પહેર્યું ન હોવાથી આગામી સમયમાં બંને જિલ્લામાં ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં પણ કોરોનાની અસર જોવા મળે તો નવાઈ નહિ. સી.આર. પાટીલના રાજકીય કાર્યક્રમો પછી કોરોનાનું સંક્રમણ વધતા રાજનીતિ ગરમાઈ છે.અરવલ્લી-સાબરકાંઠામાં સી.આર. પાટીલના અભિવાદન સમારોહના ગણતરીના દિવસોમાં સી.આર.પાટીલ કોરોનામાં સપડાતા ઉત્તર ગુજરાતના પ્રવાસમાં જોડાયેલા આગેવાનોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલના સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ ભાજપના ધારાસભ્યો, અગ્રણીઓ અને કાર્યકરો કોરોનામાં સપડાયા હતા. ઉત્તર ગુજરાતમાં બે દિવસમા ઉમટેલી ભીડ પછી કોરોનાનું સંકટ ઘેરાતા ત્રીજા દિવસે જાણે ભાજપ પ્રમુખ અને મોવળીમંડળને અક્ષર જ્ઞાન થયું હોય તેમ તમામ સ્વાગત કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution