આણંદ, આંકલાવ શહેરના સ્ટેશન વિસ્તારમાં બુધવારે સાંજે પતરાં સાફ કરવા ચઢેલા દંપતીને વીજકરંટ લાગતા બંનેના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા.આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવ સ્ટેશન વિસ્તારમાં ૬૫ વર્ષીય વિનુભાઈ મોતીભાઈ પઢીયાર, ૬૩ વર્ષીય પત્ની જીબાબેન વિનુભાઈ પઢીયાર સાથે રહે છે. વરસાદને કારણે તેમના ઘરના પતરાં પર કચરો થયો હોય તે સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન, બુધવારે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ પતરા સાફ કરવા માટે વિનુભાઈ પઢીયાર લોખંડની નિસરણી મૂકી ચઢવા જતા હતા અચાનક જ તેમને કરંટ લાગ્યો હતો.દરમિયાન, બીજી તરફ સાથે ઉભેલા તેમના પત્ની જીબાબેન નિસરણી ખસેડવા જતા તેમને પણ કરંટ લાગતા તેમનું પણ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આમ, માત્ર ગણતરીની મિનિટોમાં જ બંનેનું સ્થળ પર મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મકાનમાં કરેલું વાયરિંગ પતરા પર અડી જતા કરંટ પતરામાં ઉતર્યો હતો. જેને કારણે ઘટના બની હતી.
Loading ...