૭૮મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિવિધ સ્થળોએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત છોટાઉદેપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના હજારો લોકો દ્વારા ભારત માતા અને દેશના વીર જવાનોને વંદન કરવામાં આવ્યા હતા. તેમણે આઝાદી સમયે નફરત અને હિંસાનો ભોગ બનનાર લાખો લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને દેશની આઝાદી માટ યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર વીરોને વંદન કર્યા હતા. આ તિરંગા યાત્રાને સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લાના પદાધિકારી-અધિકારીઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓના ભારત માતાની થીમ આધારિત પોશાક તેમજ નગરજનો આદિવાસી પરંપરાગત પોશાક અને ઢોલ સાથેની સાંસ્કૃતિક રજુઆત આકર્ષણનું કેન્દ્ર બની હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલી જિલ્લા સેવા સદનથી નીકળી પોસ્ટ ઓફિસ, મહાકાળી મંદિર, દરબાર હોલ, કસ્બા ચોક, માણેક ચોક, એસ.બી.આઈ. સર્કલ, પેટ્રોલ પંપ ચાર રસ્તા, પંચવટી બંગલોઝ, અલીરાજપુર નાકા થઈ જિલ્લા સેવા સદન ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ-હોમગાર્ડ-ટ્રાફિક પોલીસ-ગ્રામ રક્ષક દળના જવાનો, એન.સી.સી./એન.એસ.એસ.ના કેડેટ્સ, વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જાેડાયા હતા.