ડૉ. કૌશિક ચૌધરી |
તો આપણે જાણ્યું કે ભારતીય સમાજમાં વર્ણ અને જાતિ મનુષ્યના આત્માની ઉત્ક્રાંતિમાં તેનો પડાવ અને એ આધારિત તેના વ્યવસાય પરથી નક્કી થતા હતા. પણ આગળ જતાં એ વ્યવસ્થા મનુષ્યના જન્મ અને પરિવારથી નક્કી થતી થઈ ગઈ. અને એ માટેનું કારણ હતું ભારતીય સમાજની સજ્જડ કુટુંબ પ્રણાલી. ભારતીય સમાજની બે વ્યવસ્થાઓ પરસ્પર ટકરાઈ અને તે સમયે વ્યક્તિગત સ્વાર્થથી ઉપર સત્ય પાલનનો સિધ્ધાંત સમાજ લાંબા સમય સુધી પાળી ન શક્યો.
વર્ણ અને જાતિ વ્યવસ્થાનું સંચાલન શાળા એટલે કે ગુરુકુળ દ્વારા થતું. મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિર અને સર્પ નહુષના ધર્મ-સંવાદથી જાણકારી મળે છે કે કોઈપણ વર્ણની જાતિના (એટલે કે કોઈપણ વ્યવસાય કરતા) માતા-પિતાનું સંતાન જ્યાં સુધી સ્વાધ્યાય કરવા ગુરુકુળમાં મોકલવામાં આવે ત્યાં સુધી શુદ્ર જ કહેવાતું. સ્વાધ્યાય દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ અસ્ત્ર-શસ્ત્ર અને શાસ્ત્રના વિષયો ભણતા. આ દરમિયાન તેમને ચકાસવાનું રહેતું કે તે પોતે કયા ક્ષેત્રમાં પ્રદાન આપી શકે એમ છે, તેમની પ્રકૃતિ, તેમનો સ્વભાવ કયા કાર્ય તરફ છે. તે વેપાર અને વાણિજ્યમાં ઉત્સુક છે, રાજ્ય વ્યવસ્થા ચલાવવામાં ઉત્સુક છે કે સત્યની શોધ અને વિવિધ વિદ્યાઓના પ્રચાર-પ્રસારમાં ઉત્સુક છે? - આ તેમને સ્વાધ્યના એ વર્ષો દરમિયાન નક્કી કરવાનું રહેતું. સ્વાધ્યાયના અંતે સોળેક વર્ષની ઉંમરે વિદ્યાર્થી જે સ્વભાવ કે પ્રકૃતિને વ્યક્ત કરતો તે તેનો વર્ણ નક્કી થતો, અને તે એ વર્ણમાં કોઈ એક વ્યવસાય નક્કી કરતો, ત્યારે તેની જાતિ નક્કી થતી. વ્યવસાય આગળ જતાં બદલી શકાતો, અર્થાત્ તેની જાતિ બદલી શકાતી. આ વાત મધ્યકાલીન ભારતના ઇસ્લામિક યુગના ઇતિહાસમાં પણ જાેવા મળે છે, જ્યાં અનેક લોકો આક્રંતાઓના ત્રાસથી સ્થળાંતર કરી એક રાજ્યથી બીજા રાજ્યમાં ગયા અને તેમનો વ્યવસાય બદલાઈ જવાથી તેમની જાતિ બદલાઈ ગઈ. આમ, વર્ણ સ્વાધ્યાયના અંતે નક્કી થઈ જતો. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણમાંથી એક પણ વર્ણના સ્વભાવને પોતાનો ન જાણી શક્યા હોય તે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય બાદ પણ શુદ્ર જ રહી જતા, જેવા તે સ્વાધ્યાયમાં પ્રવેશતી વેળાએ હતા. તે શુદ્ર વર્ણના વ્યવસાય અપનાવતા.
આ રીતે તે આખી વ્યવસ્થા ગોઠવાયેલ હતી. સમાજમાં ત્રણ પ્રકારની મૂડી હતી. એક વૈશ્ય વર્ણની ધનની મૂડી, બીજી ક્ષત્રિય વર્ણની સત્તાની મૂડી અને ત્રીજી બ્રાહ્મણ વર્ણની જ્ઞાન અને પૂજ્ય ભાવની મૂડી. સમાજ આ ત્રણ પ્રકારની મૂડીથી સંતુલિત થયેલો હતો. ત્રણેયનું સમ્માન, મૂલ્ય અને મહત્વ હતું. આજના સમયની જેમ આખા સમાજની દોટ ધન તરફ કે બૌદ્ધકાલીન ભારતની જેમ આખા સમાજની દોટ સંન્યાસ તરફ નહોતી. અને આજ વર્ણ વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ્ય હતો. કોઈ એક પ્રકારના લોકોનું પ્રભુત્વ બની જઈ આત્માના અન્ય પડાવ પર રહેલા લોકોનું શોષણ અને દમન ન થાય. કારણકે એવું એક વર્ણના સ્વભાવનું પ્રભુત્વ સમાજને અસંતુલિત કરી નષ્ટ કરી દે છે.
આ શ્રેષ્ઠ વ્યવસ્થામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે માતા-પિતા પોતે અર્જિત કરેલી મૂડી પોતાના સંતાનને મળે એ માટે તેને તૈયાર કરવા લાગ્યા. બ્રાહ્મણ જે શાસ્ત્રો અને વિદ્યાઓમાં પારંગત થયો તેણે તેના સંતાનોને શાળામાં ગયા પહેલાં જ પારંગત કરવાનું શરૂ કરી દીધું. ક્ષત્રિયએ તેના સંતાનોને રાજનીતિ, રણનીતિ અને યુધ્ધ કૌશળમાં તૈયાર કરવાનું શરૂ કર્યું, અને વૈશ્યએ તેના સંતાનને વેપાર વાણિજ્ય માટે તૈયાર કરવાનું શરૂ કર્યું. લક્ષ્ય એ હતું કે પોતે જે મૂડી મેળવી છે તે તેના સંતાનને વારસામાં મળે અને ત્યાંથી તે સંતાન આગળની પેઢી માટે તેને વધુ ઊંચે લઈ જઈ શકે. આ રીતે શાળામાં અભ્યાસ અર્થે જતાં પહેલાં જ બાળકો તેમના માતા-પિતાના વર્ણ અને વ્યવસાયમાં રંગાવા લાગ્યાં. પરિણામે, વધુને વધુ લોકો સ્વાધ્યાય બાદ એજ વર્ણ અને વ્યવસાય (જાતિ) પસંદ કરવા લાગ્યાં જે તેમના પિતાનો હતો. પરિણામે, એક આચાર્યનું સંતાન આચાર્ય બનવા લાગ્યું, પ્રધાન અને રાજાનું સંતાન પ્રધાન અને રાજા તેમજ વેપારીનું સંતાન વેપારી. વર્ણ અને જાતિ સ્વભાવ અને ક્ષમતાના સ્થાને જન્મ અને પારંપારિક વ્યવસાયના આધારે ગોઠવાવવા લાગ્યા. વ્યક્તિની સમાજ, સત્ય અને ન્યાય પ્રત્યેની નિષ્ઠા પર તેનો સંતાનો પ્રત્યેનો મોહ અને કુંટુંબ પ્રત્યેની નિષ્ઠા ભારે પડી. અને એ સમયે જે પણ બન્યું તેને આજે આપણે એક ક્ષેત્રમાં બનતું નજરે જાેઈ શકીએ છીએ. એ ક્ષેત્ર છે કલાકારના વર્ણમાં આવતું ફિલ્મ ઉદ્યોગનું ક્ષેત્ર.
આજે મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં આપણે જાેઈ શકીએ છીએ કે કેવી રીતે મોટા સ્ટાર અને સુપરસ્ટારના સંતાનો પ્રતિભા ન હોવા છતાં અભિનેતા બની જાય છે, અને વારંવાર નિષ્ફળ ગયા પછી અને નાપસંદ કરાયા પછી પણ તેમને વારંવાર ફિલ્મોમાં લેવામાં આવે છે. કેવી રીતે બહારથી આવતા અન્ય માતા-પિતાના સંતાનો માટે એ ક્ષેત્રના દરવાજા સતત બંધ થઈ રહ્યા છે. આજે કહેવાય છે કે મોટા અભિનેતાઓના સંતાનો બાળપણથી જ એ વાતાવરણમાં તૈયાર થઈને આવે છે, એટલે એમના પાછળ ઓછી મહેનત કરવી પડે છે. હજી બે પેઢીઓ આ રીતે વંશપરંપરાગત જશે એટલે કહેવાનું શરૂ થઈ જશે કે ફિલ્મોમાં અભિનયની એ આખી પ્રતિભા લોહીમાં હોય છે, એ બીજા લોકોમાં નથી આવતી. એટલે સ્ટારના પેટમાંથી જ સ્ટાર જન્મે છે, જેમ ક્યારેક બ્રાહ્મણના પેટમાંથી જ બ્રાહ્મણ અને ક્ષત્રિયના પેટમાંથી ક્ષત્રિય જન્મતો થઈ ગયો હતો. બસ, તો પ્રકૃતિ અને પ્રતિભા આધારિત એક વર્ણ જન્મ આધારિત રૂઢિ કેવી રીતે બની જાય છે તે આપણે આપણા ફિલ્મ ઉદ્યોગમાં નજરે જાેઈ રહ્યા છીએ.
છતાંય, ત્યાં હજુ પ્રક્રિયા ચાલુ છે એટલે આપણને સત્ય દેખાઈ જાય છે. આપણને એ અક્ષય કુમાર, શાહરૂખ ખાન, દિલીપ કુમાર અને પૃથ્વીરાજ કપૂરના પિતા અન્ય વર્ણ અને વ્યવસાયના દેખાય છે, જે આજથી કેટલાક દશકો પછી રિસર્ચથી શોધવું પડશે. એકવાર અભિષેક બચ્ચનને પૂછાયું કે ‘એક્ટિંગ માણસ શીખે છે કે તે લોહીમાં હોય છે?’ અભિષેક બચ્ચને જવાબ આપ્યો કે ‘એ લોહીમાં હોય છે. તે ડ્ઢદ્ગછ માં આવે છે.’ એ ખોટો જવાબ હતો. જ્યારે સની દેઓલને આ સવાલ પૂછાયો તો તેણે સાચો જવાબ આપતા કહ્યું, ‘અભિનય એક ગુણ જેવો છે, જાે એ તમારામાં છે તો છે, જાે નથી તો નથી. ભલે તમારા માતા-પિતા ગમે તે હોય.’ પણ એનાથી પણ વધુ સચોટ જવાબ અમિતાભ બચ્ચને આપ્યો જ્યારે આજ પ્રશ્ન તેમને પૂછાયો. અમિતાભે કહ્યું, ‘અસલમાં તમારા જીવનમાં એક સમય આવે છે જ્યારે તમને લાગે છે કે તમે અભિનય કરી શકો છો. જાે એ સમય આવી ગયો છે તો તમે અભિનેતા છો, બાકી નથી.’ સની દેઓલનો જવાબ વર્ણની વ્યાખ્યા આપે છે. જ્યારે અમિતાભનો જવાબ માણસનો વર્ણ કેવી રીતે નક્કી થાય છે એનો જવાબ આપે છે. પ્રાચીન ગુરુકુળમાં સ્વાધ્યાય દરમિયાન જાે વિદ્યાર્થી કોઈ એક સમયે કોઈ એક વર્ણનો ગુણ અને પ્રતિભા પોતાનામાં અનુભવતો, તો તે ક્ષણે તે તેનો વર્ણ જાણી જતો. જાે કોઈ વર્ણનો ગુણ અને પ્રતિભા ન અનુભવાતી, તો તે શુદ્ર રહેતો.
Loading ...