ડિઝાઇન એ લાંબી અને જટિલ પ્રક્રિયા

લેખકઃ હેમંત વાળા | 


કોઈપણ ડિઝાઇન-રચના એવી નથી કે જે બધા જ પ્રશ્નોનો જવાબ આપી શકે. દરેક રચના ચોક્કસ પ્રશ્નોના જવાબ તરીકે અસ્તિત્વમાં આવે છે, પણ સાથે સાથે તે કેટલાક નવા પ્રશ્નો પણ ઉભા કરે. રચનાની સમજ માટે એ જાણવું જરૂરી બને કે તે કયા પ્રશ્નોના જવાબ આપે છે અને જે નવા પ્રશ્નો ઊભા થાય છે તે કેટલી હદે માન્ય રહેશે.

રચના પાછળ રચનાકારની સંવેદનશીલતા, સર્જનાત્મકતા અને નિરાકરણ-શક્તિ કાર્યરત હોય છે. આની સામે ઉપયોગકર્તા માટે “ક્રિટિકલ” વિચારશીલતા અને નિર્ધારિત માળખા મુજબનું મૂલ્યાંકન જરૂરી છે.

સ્થાપત્યમાં ઉપયોગીતા માટેના મકાનના “આંતરિક” સ્થાન નિર્ધારણ થતા હોય છે. જે તે કાર્ય હેતુ માટે નિર્ધારિત થયેલા આવા સ્થાનની કાર્યક્ષમતા તો હોવી જ જાેઈએ પણ સાથે સાથે ભાવાત્મક સંબંધ પણ બંધાવવો જાેઈએ. પહેરવેશની ઉપયોગીતા તો પૂર્ણ થવી જ જાેઈએ, પણ સાથે સાથે, જે તે પ્રસંગ માટે નિર્ધારિત થયેલ પરિધાન- પહેરવેશમાં વ્યક્તિત્વ નીખરવું જાેઈએ. રાચરચીલાની બનાવટમાં પરંપરા તથા જીવનશૈલી પ્રમાણેની અનુકૂળતા સ્થાપિત થવી જાેઈએ. “પ્રોડક્ટ ડિઝાઇન” અર્થાત વસ્તુ-રચનામાં વર્તમાનની જરૂરિયાતો સાથે ભવિષ્યની સંભાવનાઓ પણ વણાઈ જવી જાેઈએ. “ગ્રાફિક ડિઝાઇન” અર્થાત ચિત્રણ-રચનામાં સંદેશો સ્પષ્ટ અને સરળ રીતે પકડાવો જાેઈએ. રચનાના આ બધા ક્ષેત્રમાં લાલિત્ય તો જરૂરી છે જ. સાથે સાથે નિર્ધારિત સમયગાળા માટે તેની યથાર્થતા પણ ટકી રહેવી જાેઈએ. આ બધામાં સાંસ્કૃતિક ઇતિહાસ, વર્તમાન પરિસ્થિતિ તથા ભવિષ્ય માટેની સંભાવનાઓ પણ જડાઈ જવી જાેઈએ. પ્રત્યેક ડિઝાઇન ભૂત-વર્તમાન-ભવિષ્યના સમન્વય જેવી હોય છે. પ્રત્યેક ડિઝાઇન હકીકત-આકાંક્ષા-લાલિત્ય વચ્ચે સંતુલન સમાન હોય છે. ડિઝાઇન જે રીતના સમજવામાં આવે છે - ડિઝાઇન જે રીતના લેવામાં આવે છે તેના કરતાં ઘણા ઊંડાણ સાથે તેની રચના સાથે જાેડાયેલા હોય છે.

વ્યક્તિ પાસેની સંપન્નતા એક બાબત છે, તેની સામે તેના સપના પણ એક “હકીકત” છે. જે તે સમયે લાગુ પડતા સામાજિક તેમજ રાજકીય બંધનો પણ એક સત્ય છે. સમયાંતરે બદલાતાં રહેતાં મૂલ્યનિષ્ઠા કે અગ્રતાક્રમ કે બંધન કે પસંદગીના ધોરણો પણ એટલા જ અગત્યના છે. કઈ બાબત ક્યારે મહત્વની બની રહે તે પરિસ્થિતિને આધારિત રહે છે. એક પરિસ્થિતિમાં એક પ્રકારની રચના યોગ્ય જણાય તો અન્ય પરિસ્થિતિમાં યોગ્યતાની પરિભાષા જ બદલાઈ જાય. જે આજે સ્વીકૃત છે તે કાલે સંપૂર્ણ અસ્વીકૃત પણ બની રહે. રચનાના મૂલ્યાંકનમાં પરિસ્થિતિની સમજ બહુ જરૂરી છે.

રોજિંદા જીવનમાં સામાન્ય પહેરવેશનું મહત્વ છે. લગ્ન પ્રસંગે ખાસ ચમકદમકવાળા પહેરવેશની ઈચ્છા હોય. અન્ય શુભ પ્રસંગો માટે સામાન્ય કરતાં થોડાક કિંમતી પહેરવેશની ઈચ્છા હોય. મૃત્યુ પ્રસંગે પહેરવેશમાં સાદગી અને શુદ્ધતા વ્યક્ત થાય તે યોગ્ય ગણાય. પ્રસંગ અનુસાર, ક્ષમતા અનુસાર અને વ્યક્તિગત પસંદગી અનુસાર જે તે રચના સ્વીકૃત બનતી હોય છે. આ વાત પહેરવેશ માટે જેટલી સત્ય છે તેટલી જ સ્થાપત્ય અને ડિઝાઇનના અન્ય ક્ષેત્ર માટે પણ છે. રચનાનું નિર્ધારણ વિવિધ બાબતો પર આધાર રાખે છે. જ્યાં સુધી આવી બાબતોની જાણકારી ન હોય ત્યાં સુધી રચના વિશે ર્નિણય ન કરી શકાય.

ડિઝાઇન અથવા રચના-નિર્ધારણ એ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. અહીં ક્યારેક તર્કબદ્ધ વિચાર કામ કરી જાય તો ક્યાંક સૌંદર્યની સમજ અગત્યનો ભાગ ભજવે. અહીં ક્યારેય ઉપયોગીતાને પ્રાધાન્ય અપાય તો ક્યારેક સામગ્રી અને તેના વપરાશની તકનીક મેદાન મારી જાય. રચનામાં ક્યારેક વ્યક્તિગત માન્યતાને વધુ મહત્વ મળે તો ક્યારેક પ્રવર્તમાન શૈલીનું અનુકરણ ઈચ્છનીય ગણાય. પરિબળો ઘણા છે અને તેમનું પરસ્પરનું સમીકરણ પણ જટિલ છે. કયા પરિબળને, કયા કારણસર, કેટલું મહત્વ અપાયું છે તે જાણ્યા વગર કોઈપણ રચના બાબતે ર્નિણય ન બાંધી શકાય.એક માપદંડ નથી. એક સિદ્ધાંત નથી. એક ફોર્મ્યુલા નથી. જરૂરિયાતો પણ વિવિધ પ્રકારની છે. રચના માન્ય રાખનાર કે રચનાનો ઉપયોગ કરનાર વ્યક્તિ-સમૂહની માનસિકતા પણ ભિન્ન ભિન્ન હોય છે. ઘણીવાર ર્નિણયો “તત્કાળ”ના ધોરણે લેવાય છે તો કેટલીક વાર ર્નિણય પાછળ ગહન ચિંતન કરાતું હોય છે. રચના પાછળ સ્થાપિત થયેલા હેતુ સાથે કેટલાક “બીટ્‌વીન ધ લાઈન્સ” જેવા ઉદ્દેશ પણ હોય છે. એકંદરે એમ કહી શકાય કે ડિઝાઇન અર્થાત રચનાની યથાર્થ સમજ માટે યોગ્ય માળખાયુક્ત મનન-ચિંતનની જરૂર રહે.

ડિઝાઇનની - રચનાની નાની નાની વાતોને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો સમાજ વિવિધ પ્રકારની ડિઝાઇન-રચનાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકે. આવી સમજ કેળવાય તો રચનાની ગુણવત્તા વધુ સુધરે તેવી સંભાવના રહેલી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution