સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની પતંગ કપાવાનું નક્કીઃ Dycm નીતિન પટેલ

ગાંધીનગર-

રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂ.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર અને રૂ.૨૧.૬૭ કરોડનાં ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીનગર અને અમદાવાદના નાગરિકોને આજે ઉત્તરાયણના તહેવારે વધુ એક ફ્લાયઓવરની વિશેષ ભેટ મળી છે જેના થકી અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર જ્યાં ખૂબ જ ટ્રાફિક થતો હોય છે તેવા ટ્રાફિકથી ભરચક રહેતા એસ જી હાઇવે પર નાગરિકો હવે સુરક્ષા સાથે ઝડપી પરિવહન કરી શકશે. નોંધનીય બાબત છે કે આ સમગ્ર પ્રોજેક્ટમાં વીએમએસ આધારિત સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ તથા ફ્લાયઓવર ઉપર નોઈસ બેરીયરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૮૬૭ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલા સરખેજ- ગાંધીનગર- ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-૧૪૭ (એસ.જી હાઇવે)ના ફ્લાયઓવર્સ સહિત છ માર્ગીકરણ તથા એલિવેટેડ કોરિડોરના કામો પૈકી આજે આ બે મહત્વના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટમાં કુલ ૧૦ ફ્લાય ઓવરના કામોનો સમાવેશ થાય છે જે પૈકી તૈયાર થઈ ગયેલા સિંધુભવન ચાર રસ્તા અને સાણંદ ચાર રસ્તા પરના ફલાયઓવરના લોકાર્પણ નવેમ્બર-૨૦૨૦માં કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય કામો જુલાઈ-૨૦૨૧ સુધીમાં તબક્કાવાર પૂર્ણ કરવાનું આયોજન છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ-૧૪૭ સરખેજ-ગાંધીનગર-ચિલોડા (એસ.જી હાઇવે) રોડના નવિનીકરણની કામગીરીને કુલ ચાર પેકેજમાં વહેચવામાં આવી છે. જેમાં મુખ્ય માર્ગને ચાર લેનમાંથી છ લેનમાં પહોળા કરવા અને નવા સર્વિસ રોડ બનાવવા ઉપરાંત ૧૦ જંકશન ઉપર ફ્લાય ઓવર બનાવવાના પ્રોજેક્ટ છે. કુલ ૧૦ જંકશનમાં ઘ-૦ (ઇન્ફોસીટી જંક્શન), ખ-૦ (સરગાસણ જંક્શન), ઉવારસદ જંક્શન, ખોડિયાર કન્ટેનરયાર્ડ પાસે પુલ, ખોડિયાર રેલ્વે પુલ, વૈષ્ણોદેવી જંક્શન, સોલા ભાગવત જંક્શનથી ઝાયડસ જંક્શન સુધીનો સોલા રેલ્વે ઓવર બ્રીજના વાઇડનીંગ સહિતનો ૪.૧૮ કી.મીનો એલીવેટેડ કોરીડોર, સિંધુભવન ચાર રસ્તા, સાણંદ જંક્શન અને ઉજાલા જંક્શન એમ મળી કુલ ૧૦ ફ્લાયઓવરોની કામગીરીનો સમાવેશ થાય છે. લોકાર્પણ કરવામાં આવેલા ઉવારસદ ચાર રસ્તા ફ્લાયઓવરમાં ૩૫ મીટરનો એક ગાળો છે.

તે ઉપરાંત પુલ ઉપર કુલ ૩૨ સ્ટ્રીટ લાઈટ અને સર્વિસ રોડ ઉપર કુલ ૫૬ સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવી છે. જ્યારે લોકાર્પણ કરાયેલા બીજા પ્રોજેક્ટ ત્રિ-મંદિર અડાલજથી હનુમાનજી મંદીર સુધીના ૧૦ માર્ગીય રસ્તાના કામનો કુલ ખર્ચ રૂા.૨૧.૬૭ કરોડ થયો છે. આ રસ્તાની લંબાઇ બે કિ.મી. અને પહોળાઇ ૨૦.૨૫ મીટરની છે. અમદાવાદ-સાબરમતી-કલોલ-મહેસાણા રોડ ઉપર અડાલજ ખાતે એસ.જી.હાઇવે અંડર પાસથી ત્રિ-મંદિર પછી જમીયત પુરા હનુમાનજી મંદિર રેલ્વે અંડર પાસ સુધી ૧૦.૦૦ માર્ગીય રસ્તાનું બાંધકામ કરાયું છે. જેમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ દ્વારા આ હાઇવે પર રૂા.૨૬.૦૦ કરોડના ખર્ચે અંડરપાસ બનાવવાની કામગીરી સાથો સાથ હાથ ધરી છે. તે ઉપરાંત વૈષ્ણોદેવી ઔડા રીંગ રોડ જંક્શન પર છ માર્ગીય ફ્લાયઓવર તો બનશે જ. પણ તે ઉપરાંત રીંગ રોડનો ટ્રાફિક વિના અડચણે આ જંકશન પરથી પસાર થઇ શકે તે માટે ઔડા સાથે પરામર્શ કરી રૂા. ૩૧ કરોડના ખર્ચે અંડરપાસની કામગીરી સાથો સાથ હાથ ધરવામાં આવી છે કે જેથી ત્રણ લેયરમાં ટ્રાફિક પસાર થઇ શકે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution