નવી દિલ્હી: બાંગ્લાદેશે ગુરુવારે ભારત સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી છે. બાંગ્લાદેશ દ્વારા જાહેર કરાયેલી 16 ખેલાડીઓની ટીમનું નેતૃત્વ નઝમુલ હુસૈન શાંતો કરશે. જેણે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં તાજેતરમાં જ પાકિસ્તાનને 2-0થી હરાવ્યું હતું. બાંગ્લાદેશે ઝડપી બોલર શોરીફુલ ઈસ્લામની જગ્યાએ અનકેપ્ડ વિકેટકીપર બેટ્સમેન જાકર અલી અનિકનો ટીમમાં સમાવેશ કર્યો છે, જે ઈજાના કારણે ભારત સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં શોરીફુલ પીઠની ઈજામાંથી હજુ પણ સ્વસ્થ થઈ રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશ એ માટે પાકિસ્તાન એ વિરુદ્ધ સદી ફટકાર્યા બાદ અલી અનિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ 26 વર્ષીય બેટ્સમેને ટેસ્ટ લેવલ પર કોઈ મેચ રમી નથી, પરંતુ તેણે બાંગ્લાદેશ માટે 17 ટી-20 મેચ રમી છે. તાજેતરમાં પૂરા થયેલા ટી-૨૦ વર્લ્ડ કપ 2024માં તેણે 4 મેચમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થશે. બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે કાનપુરમાં રમાશે. ભારત હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાન સામેની શ્રેણી જીતીને ચોથા સ્થાને છે. નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન કુમાર દાસ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહીદ રાણા, હસન મહમૂદ, તસ્કીન અહેમદ સૈયદ ખાલિદ અહેમદ, જાકર અલી આનિક.
Loading ...