બાંગ્લાદેશના PM શેખ હસીનાએ કહ્યું કે મંદિરો-પંડાલો પર હુમલામાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં

બાંગ્લાદેશ-

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન થયેલી હિંસા બાદ વડાપ્રધાન શેખ હસીનાની તીવ્ર ટીકા થઈ છે. શેખ હસીનાએ ચેતવણી સ્વરમાં કહ્યું છે કે જે પણ આ હુમલામાં સામેલ હશે તેને છોડવામાં આવશે નહીં.શેખ હસીનાએ કહ્યું કે તેનાથી કોઈ ફરક પડતો નથી કે તેઓ કયા ધર્મના હતા. તેમણે વધુમાં કહ્યું કે, કોમી રમખાણો રોકવા માટે યોગ્ય સજા આપવામાં આવશે. શેખ હસીનાએ વિડિયો કોન્ફરન્સિંગની મદદથી ઢાકાના ઢાકેશ્વરી રાષ્ટ્રીય મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. કોમીલા જિલ્લામાં બનેલી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જેણે હિન્દુ મંદિરો અને દુર્ગા પૂજા પંડાલો પર હુમલો કર્યો, તેમાંથી કોઈને છોડવામાં આવશે નહીં. આ બદમાશોનો ધર્મ શું હતો તેનાથી કોઈ ફરક પડતો નથી. આ હુમલાઓ પાછળ એવા લોકો છે જે લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે.

સોશિયલ મીડિયા પોસ્ટ બાદ હિંસા ફાટી નીકળી

ફેસબુક પોસ્ટમાં કુરાનના કથિત અપમાનને લઈને હિંસા ફાટી નીકળી હતી અને અનેક દુર્ગા પૂજા પંડાલોમાં તોડફોડ કરવામાં આવી હતી જેને પગલે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના કોમિલ્લા જિલ્લાના એક પૂજા પંડાલમાં કુરાનના અપમાનની અફવાઓ સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ પછી ચાંદપુરમાં હબીબગંજ, ચિત્તાગોંગમાં બંસખલી, કોક્સબજારમાં પેકુઆ અને શિવગંજમાં ચાપૈનવાબગંજ સહિત ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી અને પંડાલોમાં તોડફોડ કરી. આ હિંસામાં ત્રણ લોકોના મોતના સમાચાર પણ છે. બાંગ્લાદેશ હિન્દુ એકતા પરિષદે પણ આ મામલે ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે '13 ઓક્ટોબર 2021, બાંગ્લાદેશના ઇતિહાસમાં નિંદનીય દિવસ હતો. અષ્ટમીના દિવસે મૂર્તિ વિસર્જન પ્રસંગે અનેક પૂજા મંડપોમાં તોડફોડ કરવામાં આવી હતી. હિન્દુઓ હવે પૂજા મંડપોની રક્ષા કરી રહ્યા છે. આજે આખું વિશ્વ મૌન છે. મા દુર્ગા વિશ્વના તમામ હિન્દુઓ પર તેમના આશીર્વાદ રાખે.

બાંગ્લાદેશના ગૃહ પ્રધાને કાર્યવાહી કરવા જણાવ્યું

ચાંદપુરની એક સ્થાનિક હોસ્પિટલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં આવેલા ત્રણ મૃતદેહો આ હિંસાનો ભોગ બની શકે છે. જો કે, પોલીસે હજુ સુધી આ કેસમાં પુષ્ટિ કરી નથી કે આ લોકો તોફાનીઓના કારણે થયેલા તોફાનોને કારણે મૃત્યુ પામ્યા છે કે અન્ય કોઈ કારણ છે. આ મામલામાં બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાને જણાવ્યું હતું કે કોમીલા જિલ્લામાં આ ઘટનાને અંજામ આપનારાઓને જલ્દીથી પકડી લેવામાં આવશે. તેમણે કહ્યું કે વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે કે આ મામલે વહેલી તકે ન્યાય થવો જોઈએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution