શ્રીલંકા અને બાંગ્લાદેશના લોકોનો ભારત વિશે કેવો અભિપ્રાય છે- સકારાત્મક કે નકારાત્મક? આ પ્રશ્નના સંદર્ભમાં પ્રતિષ્ઠિત સર્વેક્ષણ અને સંશોધન સંસ્થા પ્યુ રિસર્ચ સેન્ટરે એક સર્વે રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિશે શ્રીલંકન અને બાંગ્લાદેશીઓના મંતવ્યો મોટાભાગે હકારાત્મક છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણના અહેવાલ મુજબ, શ્રીલંકાના ૬૫ ટકા લોકો ભારત પ્રત્યે સાનુકૂળ અભિપ્રાય ધરાવે છે, અને ૫૭ ટકા બાંગ્લાદેશીઓ પણ સમાન અભિપ્રાય ધરાવે છે. રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અને ભારતને બાદ કરતા તમામ દેશોના નાગરિકોનો પાડોશી દેશો પ્રત્યેનો અભિપ્રાય સકારાત્મક છે.
વિશ્લેષણ દર્શાવે છે કે ભારત અને શ્રીલંકાના નાગરિકો બાંગ્લાદેશ વિશે નકારાત્મક કરતાં વધુ સકારાત્મક વિચારો ધરાવે છે. શ્રીલંકામાં લગભગ અડધા પુખ્ત વયના લોકો(૪૭ ટકા) બાંગ્લાદેશ વિશે હકારાત્મક અભિપ્રાય ધરાવે છે, જ્યારે ભારતમાં લગભગ ત્રીજા ભાગના(૩૫ ટકા) લોકો બાંગ્લાદેશ વિશે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે.
વિશ્લેષણમાં એ પણ જાણવા મળ્યું છે કે મોટાભાગના દક્ષિણ એશિયાના પડોશીઓ ભારત પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે, પરંતુ ધાર્મિક જૂથો વચ્ચે અભિપ્રાયમાં નોંધપાત્ર તફાવત છે. શ્રીલંકા અને બાંગ્લાદેશના હિંદુઓ બૌદ્ધ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓ કરતાં ભારત પ્રત્યે વધુ સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે.
વિશ્લેષણનો ઉદ્દેશ્ય ૧૯૪૭માં ભારતના ભાગલા પછી આ ક્ષેત્રમાં ઐતિહાસિક, ભૌગોલિક, રાજકીય અને ધાર્મિક તણાવને જાેઈને દક્ષિણ એશિયામાં પ્રાદેશિક ગતિશીલતાની નોંધ કરવાનો હતો. સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે આ ક્ષેત્રના મોટાભાગના દક્ષિણ એશિયાના લોકો તેમના પાડોશી દેશોને નકારાત્મક કરતાં વધુ હકારાત્મક રીતે જુએ છે.
આ અભ્યાસ આ વર્ષે ૫ જાન્યુઆરીથી ૨૫ માર્ચની વચ્ચે ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં કરવામાં આવ્યો હતો, પરંતુ સંશોધકો પાકિસ્તાન તરફથી જવાબો રેકોર્ડ કરવામાં અસમર્થ હતા.
સર્વે મુજબ, બાંગ્લાદેશીઓ અને ભારતીયો શ્રીલંકા પ્રત્યે સકારાત્મક વિચારો ધરાવતા હોય તેવી શક્યતા લગભગ બમણી હોય છે. જાે કે, બંને જગ્યાએ ત્રીજા ભાગના લોકોએ આ પ્રશ્નનો જવાબ આપ્યો નહતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એનડીએને સમર્થન કરનારાઓ શ્રીલંકા વિશે વધુ અનુકૂળ વિચારો ધરાવે છે. જુલાઈમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભારત મુલાકાત પહેલા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ શાસક પક્ષના સમર્થકો શ્રીલંકા વિશે સકારાત્મક અભિપ્રાયો વ્યક્ત કરે તેવી શક્યતા વધુ હતી.
પરંતુ બંને દેશોમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રશ્નનો જવાબ આપ્યો નથી. વાસ્તવમાં, ભારતમાં ઉત્તર નહી આપનારા લોકોની ટકાવારી વધારે છે. જુલાઈમાં બાંગ્લાદેશી પોલીસ અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ વચ્ચે ઘાતક અથડામણ પહેલા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
સર્વેક્ષણ કરાયેલા ત્રણ દક્ષિણ એશિયાના દેશોમાં, અન્ય દેશો વિશેના મંતવ્યો મોટાભાગે ધર્મના આધારે અલગ પડે છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા બંનેમાં, અન્ય ધાર્મિક જૂથો કરતાં હિંદુઓ ભારત પ્રત્યે અનુકૂળ મંતવ્યો ધરાવે છે. ઉદાહરણ તરીકે, શ્રીલંકામાં દસમાંથી આઠ હિંદુઓ ભારત વિશે સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કરે છે, જ્યારે બૌદ્ધ, ખ્રિસ્તી અને મુસ્લિમોમાંથી સાતથી ઓછા લોકો ભારત વિશે સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કરે છે. બાંગ્લાદેશ અને ભારતમાં, હિંદુઓ પણ મુસ્લિમો કરતાં શ્રીલંકા પ્રત્યે વધુ સકારાત્મક વિચારો ધરાવે છે.
આ સર્વેક્ષણ દર્શાવે છે કે રાજકીય આગેવાનો કે દેશના નેતાઓના અભિપ્રાયો જેના આધાર પર બે દેશો વચ્ચેના સંબંધોનો નિર્ણય થતો હોય છે કે નીતિ નિર્ધારણ થતું હોય છે તે દરેક સંજાેગોમાં દેશની પ્રજાના વલણનો જ પડઘો પાડતા હોય તેવું હોતું નથી. પાડોશી દેશોમાં મોટાભાગના સામાન્ય લોકોને ભાઈચારા અને શાંતિની વિચારધારામાં રસ હોય છે, પરંતુ રાજનેતાઓ ઘણી વખત તેમને ગેરમાર્ગે દોરી જતા હોય છે.
Loading ...