વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદના ખાતે પર્યાવરણ જાગૃતતા સંદર્ભે રેલી યોજાઈ


દાહોદ,તા.૬

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દાહોદ અને પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદના સહયોગથી તેમજ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે હેતુથી દાહોદમાં રેલી યોજવામાં આવી હતી. દાહોદના હાર્દ સમાં છાબ તળાવ, ઇન્દોરી નાસ્તા હાઉસની પાછળ, ઓપન પાર્ટી પ્લોટથી રેલી શરુ થઇ સ્વામી વિવેકાનંદ સર્કલ, માં સરસ્વતી સર્કલ, બિરસા મુંડા સર્કલ થઈને મૂળ સ્થાને પરત ફરી હતી. આ રેલીમાં વિવિધ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ જેમ કે રેડક્રોસ, સહજ, સદગુરુ વગેરેની સાથે ૨૫૦ જેવા પર્યાવરણ પ્રેમીઓ તેમજ દાહોદના નગરજનોએ પર્યાવરણને બચાવવા માટેના વિવિધ સંદેશ આપતા બેનર્સ, સુત્રો સહિત ઉત્સાહભેર આ રેલીમાં ભાગ લીધો હતો, પર્યાવરણની જાળવણી માટે જાગૃતતા ફેલાવવામાં મદદરૂપ બન્યા હતા. આ રેલીમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાફિક બ્રિગેડ વગેરેએ પણ ખડેપગે હાજર રહી રેલીને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જંગલ થીમ ઉપર બનાવેલ ટેબ્લો રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ દરમિયાન ચિત્ર પ્રદર્શનમાં પણ ૬૦ કરતા વધુ લોકોએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ રીતે પર્યાવરણને સંબંધિત ચિત્રો બનાવ્યા હતા, તેમને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રેઇન વોટર હાવેર્સ્ટિંગનું મોડેલ પણ આ સાથે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેમજ પર્યાવરણ બચાવવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા. સામાજિક વનીકરણ વિભાગ દાહોદના ડી.સી.એફ.શ્રી અમિતકુમાર નાયક અને વન વિભાગની ટીમ, આરોગ્ય વિભાગના અધિકારીશ્રી ઉદય ટિલાવતની ઉપસ્થિતિ ખૂબ પ્રેરણાદાયક રહી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution