એક હતો રાજા. એના રાજગૃહમાં હતા ૧૬ દરબારીઓ અને રાજ્યની સમૃદ્ધિ હતી લાખો રૂપિયાની. આ રાજાએ પોતાના રાજમહેલમાં એક એવો ગુપ્ત ખજાનો રાખ્યો હતો, જેની માત્ર રાજાને અને તેના મુખ્ય દરબારીઓને જ હતી. છતાં એકવાર થયું એવું કે એ ખજાનામાંથી હીરા-મોતી-ઝવેરાતની મોટી ચોરી થઈ! રાજા સહિત સૌને આશ્ચર્ય થયું કે આ ગુપ્ત ખજાનાની વાત કોઈને ખબર નહોતી, તો ચોરી થઈ કઈ રીતે? પણ રાજા બુદ્ધિશાળી હતો— તેને વિચાર આવ્યો, નક્કી દરબારીઓમાંથી જ કો'ક ખજાના-ફોડ બન્યો છે. પણ કોણે આવું ચોરીનું દુષ્કૃત્ય કર્યું છે, એ ખબર કેવી રીતે પડે? રાજાએ કરી યુક્તિ. તેણે પોતાના બધા જ દરબારીઓને બોલાવ્યા. બધાને છ ફૂટનો એક જાડો ડંગોરો આપ્યો અને બધાને કહ્યું, “આ ડંગોરો જાદુઈ છે. અને મને ખબર છે કે ચોરી તો તમારા ૧૬માંથી જ કોઈ એકે કરી છે. જેણે ચોરી કરી હશે, તેની લાકડી આવતીકાલે પાંચ આંગળ વધી જશે’ આટલું કહીને રાજા તો શાંતિથી પોતાના મહેલના બગીચામાં જઈને બેસી ગયો.
બધા આવતા દિવસની સવારની રાહ જાેવા માંડ્યા. થયું એવું કે જેણે આ ખજાનામાંથી ચોરી કરેલી, એનું મન હવે ચકડોળે ચડ્યું. તેને મનમાં ગભરાટ થવા લાગ્યો, “ખરેખર મારી લાકડી વધી જશે તો? મેં ચોરી કરી છે એવી બધાને ખબર પડી જશે તો? આટલી મહેનત કરીને ભેગું કરેલું ધન હાથમાંથી જતું રહેશે તો?” વિચારમાં ને વિચારમાં ચોરી કરનારનું મન ક્યાંય લાગ્યું નહીં. તેને ખાવાનું ભાવે નહીં, તે ઘરના સભ્યો સાથે વાત કરે નહીં, તેને ઊંઘ આવે નહીં... બસ, એક જ વાત એને ખટક્યા કરે – “મેં ચોરી કરી છે. હું પકડાઈ જઈશ...”. આ જ વિચારોમાં તે રાત્રે જાગતો હતો, “જાે મારી લાકડી પાંચ આંગળ વધી ગઈ, તો મરી ગયા. એના કરતાં એક કામ કરું, મારી લાકડી પાંચ આંગળ કાપી નાખું. પછી લાકડી વધશે, તોપણ કોઈને ખબર નહીં પડે.” આવું વિચારી તે પોતાની લાકડી કાપીને આરામથી સૂઈ ગયો! બીજે દિવસે સવારે રાજાના દરબારમાં કચેરી ભરાઈ. બધા પોતપોતાની લાકડી લઈ આવ્યાં. દરેક દરબારીઓની લાકડી નામ લખીને ભેગી કરવામાં આવી, ત્યારે જેણે ચોરી કરી હતી તે એક સિવાય બધાની લાકડી લાંબી હતી! 'આટલા બધા એ ચોરી કરી હશે?’ બધા તો આશ્ચર્યથી એકબીજા સામે જાેઈ રહ્યા હતા, પણ રાજા હસતા હતા... રાજાએ કહ્યું, ‘ચોર પકડાઈ ગયો છે.” એમ કહી જેની લાકડી ટૂંકી હતી એ ચોરને રાજાએ બંદી બનાવી દીધો, ‘મૂરખ, મેં તો કોઈ જાદુ કર્યું નહોતું. પણ તારા મનમાં ડર હતો કે 'મારી લાકડી વધી જશે...’ એટલે તેં લાકડી કાપી. હવે સડ બંદીખાનામાં...'
મિત્રો! ‘ચોરી’ વસ્તુ જ એવી છે, કે જેણે કરી હોય તેના મન-હૃદયમાં ક્યારેય શાંતિ થવા જ ન દે. ચોરી કરીને વ્યક્તિ
કદાચ કોઈ બેંકને, કોઈ દેશને, કોઈ પરિવારને; કોઈ વિદ્યાર્થી ચોરી કરે તો તે કોઈ શિક્ષકને; કોઈ કર્મચારી હોય તો તે પોતાના બૉસને કે કંપનીને – બધાને છેતરી શકે... પરંતુ તે વ્યક્તિ પોતાના અંતરાત્માથી એ દુષ્કૃત્ય ક્યારેય છુપાવી નહીં શકે.
અનીતિનું કશું પણ ભેગું કરનાર વ્યક્તિ અશાંતિનો શિકાર બની જાય એ શંકા વિનાનું સત્ય છે.
તેથી જ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ, બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ સ્વયં
“સત્સંગદીક્ષા’ શાસ્ત્રમાં લખે છે ઃ
चौर्यं न कर्हिचित् कार्यं। धर्मार्थमपि नो कार्यं चोरकार्यं तु कर्हिचित् ॥३१॥
એટલે કે 'ચોરી ક્યારેય ન કરવી. ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી.' (સ.દી.૩૧) કેટલો ટૂંકો પરંતુ કેટલો
સચોટ ઉપદેશ! વળી, અહીં વિશેષ બાબત તેઓ એ સમજાવે છે કે કોઈ ધર્મકાર્ય માટે, કોઈ સત્કાર્ય માટે પણ અનીતિથી
ભેગું ન કરવું, એમ કહ્યું છે. ઘણીવાર અનીતિથી, લાંચ-રૂશ્વતથી કે કૂટપદ્ધતિથી પડાવેલાં પૈસા-માલ-મિલકત ભેગાં કરનારાં વ્યક્તિઓ એવું વિચારતા હોય છે કે 'ભલે હું અવળી રીતે એકઠું કરું છું, પણ એમાંથી હું ગરીબોને દાન કરું છું, મંદિરોમાં ભગવાનને ચરણે દાન આપું છું, જરૂરિયાતમંદ બાળકો સારું ભણી શકે તે માટે વિદ્યાદાન કરું છું, હૉસ્પિટલો-દવાખાનાંઓ- પરબો બંધાવીને મારી સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ કરું છું— એટલે મારાથી તો કશું ખોટું થતું જ નથી...” પરંતુ આવું વિચારનારાં-આચરનારાંને પ્રશ્ન પૂછવો જાેઈએ, ‘એકના મોઢામાંથી કોળિયો ઝૂંટવી લઈને બીજાને ખવડાવવું, એ સત્કર્મ કહેવાય? કોઈકને ઢોરમાર મારીને પછી મલમ લગાડવો, એ સત્કાર્ય કહેવાય? હંમેશાં કુકર્મ કરતા રહીને વર્ષે એકવાર ગંગામાં નહાવા જવું, એ સુકૃત કહેવાય? એ તો 'સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી” એવું થયું!
સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ પણ ઘણીવાર કહેતા, 'ચોરીમાં ક્યારેય કોઈ ફાયદો નથી. મહેનત કરવી અને ભગવાન રોટલા આપે એ પ્રમાણે નિર્વાહ કરવો. ખોટું ન કરવું. ભણવામાં ચોરી ન કરવી, નોકરીમાં સાચું કરવું, ધંધામાં સાચું કરવું. પૈસાની મહત્તા નથી, સત્યની મહત્તા છે, ધર્મની મહત્તા છે..' આવો, આપણે પણ આ પ્રમુખ દર્શન' પામીને અસ્તેય- અચૌર્યના માર્ગે પ્રશસ્ત થઈએ...
Loading ...